તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ અને મહાઠગ અશોક જાડેજાની તપાસ કરનાર નિવૃત્ત આઇપીએસ અધિકારી વી.વી. રબારી તેમજ નવસારીના પીએસઆઇ સહિત ૮ લોકો વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા માટે સ્ટેટ હ્યુમન રાઇટ્સ (ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ)એ વાડજ પોલીસને આદેશ કર્યાે છે. આઠ મહિના પહેલાં મુંબઇમાં થયેલા એક યુવકના આપઘાત કેસમાં તેના પિતાએ કરેલી ફરિયાદના આધારે આ આદેશ આપવામાં આવ્યાે છે.
પૂર્વ આઇપીએસ વી. વી. રબારી સામે સત્તાના દુરુપયોગની પણ ફરિયાદ દાખલ કરવા આદેશ
બે મહિના પહેલાં હ્યુમન રાઇટ્સ કમિશને આપેલા આદેશ અંગે વાડજ પોલીસ અજાણ
ઘરેલુ ઝઘડાની બાબતમાં નવા વાડજના યુવકે મુંબઈમાં આપઘાત કર્યો હતો
ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે દાણીલીમડા વિસ્તારમાં આવેલ ઘના ચેમ્બર્સમાં રહેતા અને પશુપાલક સુરેશભાઇ કાનાભાઇ ભરવાડનાં વર્ષ ૧૯૯૭માં વાડજ વિસ્તારમાં રહેતાં મીનાબહેન ભરવાડ સાથે લગ્ન થયાં હતાં. વર્ષ ર૦૧પમાં સુરેશભાઇ અને મીનાબહેન વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી, જેમાં મીનાબહેન તેમના પુત્ર સિદ્ધાર્થ, જયદીપ અને પુત્રી દેવાંશીને લઇ પિયરમાં જતાં રહ્યાં હતાં.
મીનાબહેને સુરેશભાઇ પર મહિલા પોલીસ સ્ટેશનમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે મીનાબહેનના પિતા ભગવાનભાઇ ભરવાડ તેમના મિત્ર અને નિવૃત્ત આઇપીએસ અધિકારી વી.વી. રબારીની મદદથી સુરેશભાઇની ધરપકડ કરાવીને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ એસપી ઓફિસમાં લઇ ગયા હતા, જ્યાં તેમને પોલીસે ઢોરમાર માર્યો હોવાનાે આક્ષેપ ફરિયાદમાં થયાે છે.
સુરેશભાઇએ ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે દાદા-દાદીથી દૂર રાખવા માટે મીનાબહેન સિદ્ધાર્થને ડરમાં રાખતાં હતાં, જેના કારણે તે મનોમન દુખી થતો હતો. સિદ્ધાર્થને મરી જવાની ધમકી આપી મીનાબહેન ઇમોશનલ બ્લેકમેલ કરતાં હતાં. ગત વર્ષના જાન્યુઆરી મિહનામાં સુરેશભાઇના પિતા કાનાભાઇનું મૃત્યુ થયું હતું, જેના કારણે સિદ્ધાર્થને આઘાત લાગ્યો હતો. સિદ્ધાર્થે તેની માતા મીનાબહેન તેમજ નાના ભગવાનભાઇને પિતા સાથે સમાધાન કરવા જીદ કરી હતી.
૩ માર્ચના રોજ સિદ્ધાર્થ ઘર છોડીને જતો રહ્યો હતો અને ૪ માર્ચે મુંબઇમાં ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. સિદ્ધાર્થના મોતની જાણ કે ગુમ થવાની જાણ સુરેશભાઇને હતી નહીં. ૬ માર્ચે સુરેશભાઇને જાણ થઇ હતી કે સિદ્ધાર્થ ગુમ થયો છે, જેથી તેમણે ભત્રીજા ભવાન ભરવાડને ફોન કરવાનું કહ્યું હતું. ભવાને સિદ્ધાર્થને ફોન કર્યો ત્યારે ભગવાનભાઇએ ફોન ઉપાડ્યો હતો અને સિદ્ધાર્થે આપઘાત કરી લીધો છે તેવું જણાવ્યું હતું.
ભગવાનભાઇએ સિદ્ધાર્થના મૃતદેહને સુરેશભાઇના ઘર પાસે લાવીને મૂકી દીધો હતો. ભગવાનભાઇ અને તેમના સાથીઓને ઘેરી લીધા હતા, જેમાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. સિદ્ધાર્થના મિત્રો બેસણામાં આવ્યા હતા ત્યારે તેમણે સુરેશભાઇને જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી સિદ્ધાર્થ આઘાતમાં રહેતો હતો, જેથી તેના પાછળનું કારણ શોધતાં જાણવા મળ્યું હતું કે દાદાના મોતથી આઘાત લાગ્યો હતો અને પિતા સાથે રહેવાની જીદ કરતો હોવાથી તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો.
બેસણાના દિવસે ભગવાનભાઇ ભરવાડ વી.વી. રબારી અને બાઉન્સરો સાથે આવ્યા હતા અને તોફાન મચાવીને સિદ્ધાર્થનો ફોટો લઇને જતા રહ્યા હતા. સુરેશભાઇએ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે મુંબઇ પોલીસ પર એટીએસના કોઇ અધિકારી તેમજ વી.વી. રબારી, નવસારીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા કમલેશભાઇ ભરવાડ અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કનુભાઇ ભરવાડના ફોન ગયા હતા.
સુરેશભાઇએ આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા માટે ફરિયાદ કરી હતી, જોકે પોલીસે તેમનું નહીં સાંભળતાં સ્ટેટ હ્યુમન રાઇટ્સ કિમશનમાં ફરિયાદ કરી હતી. સ્ટેટ હ્યુમન રાઇટ્સ કિમશને વી.વી. રબારી સહિત ૮ લોકો વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા માટે પોલીસને આદેશ કર્યાે છે, છતાંય પોલીસે હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ. રાઠવા સમગ્ર બાબતથી અજાણ હોવાનું કહી રહ્યા છે. સુરેશભાઈનો આક્ષેપ છે કે ઘરેલુ હિંસાની ફરિયાદથી લઈ પુત્રના આપઘાત સુધીના મામલે વી. વી. રબારી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંડોવાયેલા છે.