કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનિબા રાઠોડ પક્ષથી નારાજ, આજે કોંગ્રેસ નેતાઑને કરેલી રજૂઆતો પર પાર્ટી ધ્યાન નહી આપે તો રાજીનામાની ચિમકી
કામિનીબા રાઠોડનું કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ
રજૂઆતો પર પાર્ટી ધ્યાન નહી આપે તો રાજીનામાની ચિમકી
કામિનીબાની રજૂઆત અંગે જગદીશ ઠાકોર સાથે થશે ચર્ચા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. નેતાઓ નારાજ થઈ કોઈ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે તો કોઈ ખેસ ધારણ કરી રહ્યા છે. તેની વચ્ચે કોંગ્રેસના વધુ બે નેતાએ કોંગ્રેસના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નારાજગી યથવાત જોવા મળી છે. વધુ એક કોંગ્રેસના નેતા પક્ષમાં થતી સતત અવગણનાને લઈને નારાજ હોવાનું સામે આવ્યું છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ કોંગ્રેસ પક્ષમાં નિર્ણયો પૂછ્યા વિના લેવાતા હોવાનો આક્ષેપ કર્યો છે. આથી પક્ષથી નારાજ કામિનીબાએ રઘુ શર્મા અને સી. જે. ચાવડા સાથે બેઠક કરી હતી. કોંગ્રેસ જીલ્લા કાર્યાલય ખાતે તેમના મનામણાં એક કલાક કરતાં વધુ સમય સુધી ચાલ્યા હતા.
જગદીશ ઠાકોર સાથે સમગ્ર બાબતે ચર્ચા થશે
બેઠકમાં પૂર્વ MLA કામિનીબા રાઠોડે પાર્ટીમાં અને સંગઠનમાં થતી અવગણનાને લઈ બળાપો ઠાલવ્યા બાદ બહાર આપી મીડિયા સમક્ષ પણ નિવેદન આપ્યું હતું. જેમાં કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે રજૂઆતો પર પાર્ટી ધ્યાન નહી આપે રાજીનામું આપી દઈશ. નારાજગી મામલે કોંગ્રેસ અગ્રણી સી.જે ચાવડા સાથે ચર્ચા સકારાત્મક કરી હોવાની વાત કરતાં કહ્યું હતું કે સી જે ચાવડાએ ઉચ્ચ સ્તરે રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી છે. હવે આ મામલે જગદીશ ઠાકોર સાથે ચર્ચા થશે. પણ હાલની સ્થિતિ મુજબ હજુ પણ કામિનીબા રાઠોડની નારાજગી પર બેઠકનો દોર યથાવત છે.
મારી માગણી પૂર્ણ નહી થાય તો નિવૃત્તિ જાહેર કરીશ: કામિનીબા
પૂર્વ MLA કામિનીબા રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કામ કરનારને સંગઠનમાં સ્થાન મળવું જોઈએ, દહેગામના સંગઠન બાબતે નારાજગી છે. આજે સી.જે ચાવડા, બળદેવજી ઠાકોર સાથે વાત થઈ છે. દહેગામ સંગઠનમાં ફેરફાર થવા જોઈએ તેમજ સંગઠનમાં કોને સમાવવા તે વાત પક્ષની સામે મૂકી છે. જો મારી માગણી પૂર્ણ નહી થાય તો નિવૃત્તિ જાહેર કરીશ તેવી ચીમકી પણ આપી છે. અને વાતનો ફોડ પાડતા કહ્યું છે કે ટીકીટ માટેનો કોઈ મુદ્દો નથી, દહેગામ સંગઠનમાં જે નિમણુંક થઈ તે મારો મુદ્દો છે
ભાજપના થશે અશ્વિન કોટવાલ?
તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આદિવાસીના પ્રશ્નોને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે હું ક્યાં પક્ષમાં છું તે આવનારો સમય નક્કી કરશે. આદિવાસીની જમીન મુદ્દે મુખ્યમંત્રીને કોટવાલ મળ્યા હતાં. અને જણાવ્યુ હતું કે જે પણ પક્ષમાં રહીશ આદિવાસીના પ્રશ્નો ઉઠાવતો રહીશ.