કોંગ્રેસની સત્યશોધક સમિતિના રિપોર્ટ બાદ કોંગ્રેસના પૂર્વ MLA રાજેશ ગોહિલે આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, 2022માં કોંગ્રેસનું ધોવાણ થયું તેમાં પ્રભારી અને પ્રદેશ પ્રમુખ જવાબદાર છે. તેથી પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને સસ્પેન્ડ કરવા જોઈએ.
પૂર્વ MLA રાજેશ ગોહિલે પણ સત્યશોધક સમિતિનો રિપોર્ટ સાચો ગણાવ્યો
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ટિકિટનું વેચાણ કર્યું છેઃ ગોહિલ
પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને સસ્પેન્ડ કરવા જોઈએઃ રાજેશ ગોહિલ
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ સૌથી મોટો ખુલાસો સામે આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ અંગે સત્યશોધક રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકોની ટિકિટો વેચી ખાધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ MLA રાજેશ ગોહિલે પણ સત્યશોધક સમિતિનો રિપોર્ટ સાચો ગણાવ્યો છે. સાથે જ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળ પ્રદેશ પ્રમુખને જવાબદાર ઠેરાવ્યા છે.
પ્રભારી અને પ્રમુખે વહીવટ કરીને ટિકિટ આપીઃ પૂર્વ MLA રાજેશ ગોહિલે
કોંગ્રેસની સત્યશોધક સમિતિના રિપોર્ટ બાદ કોંગ્રેસના પૂર્વ MLA રાજેશ ગોહિલે કહ્યું કે, સત્યશોધક સમિતિનો રિપોર્ટ સાચો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ટિકિટનું વેચાણ કર્યું છે. જેના કારણોસર સારા આગેવાનોની ટિકિટ કપાઈ હતી. તેમણે જણાવ્યું છે કે, 2022માં કોંગ્રેસનું ધોવાણ થયું તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જવાબદાર છે. તમામ નેતાઓએ મોટામોટા વહીવટ કરી ટિકિટ આપી છે. તો રાજેશ ગોહિલે પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે.
....બાદ ગુજરાત કોંગ્રેસને મળશે નવા પ્રભારીઃ અમિત ચાવડા
બીજી તરફ કોંગ્રેસની સત્યશોધક સમિતિના રિપોર્ટ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, આ રિપોર્ટ કમિટી દ્વારા હાઇકમાન્ડને સોંપવામાં આવ્યો છે. CWCના સભ્યોની નિમણૂક બાદ ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળશે. આગામી દિવસમાં કોંગ્રેસની મોટી બેઠક થશે ત્યાર બાદ પ્રમુખ અંગે નિર્ણય કરાશે.
કોંગ્રેસ નેતાઓને હાઇકમાન્ડનું તેડું
સમગ્ર મામલો સામે આવ્યા બાદ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દિપક બાબરીયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણી બાદ પ્રભારી પદેથી રઘુ શર્માએ રાજીનામું આપ્યું હતું. પ્રભારીની નિયુક્તિ બાદ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનાત્મક બદલાવ થશે.
સત્યશોધક સમિતિના રિપોર્ટમાં શું?
- વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ અંગે સૌથી મોટો ખુલાસો
- ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો કર્યો હતો વેપલો
- કોંગ્રેસ હાઈ કમાંડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ કર્યો હતો સોદો
- ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ
- વિધાનસભા 2022ની ચૂંટણીમાં 35 બેઠકો નેતાઓએ ઉમેદવારોને વેચી હોવાનો રિપોર્ટ
- 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો સત્ય શોધક કમિટીએ આપ્યો રિપોર્ટ
- દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો ગુજરાતના કેટલાક નેતાઓએ બદલી નાખ્યા હોવાનો ઉલ્લેખ
- ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના હાઈકમાંડને ઓવરટેક કરી ગયા
- ગુજરાતમાં કોંગ્રેસ હારી તે એક કાવતરું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ
- ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવા માટેનું એક કાવતરું
- આર્થિક વ્યવહાર કરીને ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાનો રિપોર્ટ
- ટિકિટ વહેંચણીમાં સામાજિક સમીકરણ અને ભૌગોલિક સમીકરણનો અભાવ
- ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બદલવાની રિપોર્ટમાં ભલામણ