ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પૂર્વ CM પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા જેમાં તેમણે સુરત શહેરની પુનરાવર્તિત વિકાસ યોજનામાં કોઈપણ કાયદા કે અધિકાર વિના ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેટલાક અધિકારીઓએ મુસદ્દારૂપ યોજનામાં કાયદા મુજબનાં 201 રીઝર્વેશનોના 1,66,11,476 ચો.મી. જમીનમાંથી 112 રીઝર્વેશન હટાવીને 90,79,369 ચો.મીજમીન બિલ્ડર માલીકોને પધરાવીને રૂ. 27 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ બીજેપીને સવાલ કરતા જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચારના નાણામાંથી કેટલા નાણાં કેટલા કોના ખિસ્સામાં ગયા અને કેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વપરાયા તેની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજના અધ્યક્ષપદ હેઠળ તપાસ થવી જોઈએ. આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને પ્રતિક્રિયા આપી હતી.
આ આક્ષેપ સત્યથી વેગળા છેઃ વિજય રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે મારી લોકપ્રિયતાને જોઈને કોંગ્રેસ મારા પર ખોટા આક્ષેપ કરે છે. આ આક્ષેપો સત્યથી વેગળા છે. તો વધુમાં જણાવ્યું કે સુરત અર્બન ઓથોરીટીની સ્થાપના 1978માં થઇ હતી. રિઝર્વેશન મતલબ એ નથી કે જમીન આપણી થઈ ગઈ.182 પ્લોટ 1986માં રિઝર્વ કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત 2004માં રિવાઇઝ કરવામાં આવ્યું હતું ત્યારબાદ 8 ઓક્ટોબરમાં ફરીથી પ્લોટ રિવાઇઝ કરાયા હતા. 1986 થી 2020 સુધી કોઇ વધુ પ્રક્રિયા થઇ નથી. બીજી વખત રિવાઇઝમાં 201 પ્લોટની 1661 હેક્ટર જમીન રિઝર્વ કરાઇ હતી. આ અંગે અધિકારીઓ સાથે તમામ બાબતો પર ચર્ચા થઇ હતી.
કોંગ્રેસના પૂર્વ CM રૂપાણી પર આ પણ આરોપ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમેરિકા હતા તે સમયે 22 ફેબ્રુઆરીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. રાજકોટમાં જમીન ઝોન ફેરમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ નેતાઓએ 500 કરોડની જમીન કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો હતો. આ મામલે 2 માર્ચે એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે બદનક્ષી બદલ કોંગ્રેસ નેતાઓને નોટીસ મોકલવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, કોંગ્રેસના ખોટા આરોપોથી પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે, આથી 15 દિવસની અંદર લેખિતમાં માફી માગે અને તમામ આરોપ પરત ખેંચી લે. લેખિત માફી તમામ મીડિયાને મોકલી આપે નહીં તો કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવશે. આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તેવી દલીલો કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ 500, 114 અન્વયેના ગુનાની કાર્યવાહી ચલાવવા અને ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 204 હેઠળ ફોજદારી કેસ નોંધી સમન્સ ઈશ્યુ કરી તમામને કોર્ટમા હાજર રહેવા આદેશ આપ્યો હતો.