બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કરવા યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ-સુરેન્દ્રનગર-પાટણ-સાબરકાંઠા-બનાસકાંઠા પાંચ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, 100 કરોડ પણ ફળવાયા હતા
બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કરવાની યોજનાનું સુરસુરિયું
મહેસૂલ અને કૃષિ વિભાગનું સંકલન ન જળવાતાં યોજના બંધ
પુર્વ CMએ લાગુ કરેલી યોજના વર્તમાન સરકારે બંધ કરી
પૂર્વ CM રૂપાણીએ લાગુ કરેલી બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કરવાની યોજનાનું સુરસુરિયું થઈ ગયું છે. મહેસૂલ અને કૃષિ વિભાગનું સંકલન ન જળવાતાં આ યોજના બંધ કરવામાં આવી છે.આ યોજનામાં બિનઉપજાઉ જમીન ૩૦ વર્ષ માટે લીઝ પર આપવાનું આયોજન હતું. ઔષધીય તેમજ બાગાયતી ખેતીના હેતુથી યોજના પેટે તત્કાલીન સરકારે રૂ.100 કરોડ ફાળવ્યા હતા અનેક વિસંગતતા હોવાને કારણે યોજના હાલ બંધ કરી દેવામાં આવી છે.
બિનઉપજાઉ જમીન ૩૦ વર્ષ માટે લીઝ પર આપવાનું હતુ આયોજન
પૂર્વ સીએમ રૂપાણીએ 19 જાન્યુઆરી 2021ના રોજ બાગાયત વિકાસ મિશન યોજના ની જાહેરાત કરી હતી જેમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી હોવાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. જાહેરાત વખતે કહ્યું હતું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે. પણ હાલ સમયે અનેક વિસંગતતા હોવાને કારણે યોજના કરવામાં બંધ કરી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આકરા પ્રહાર
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવવાની યોજનાની શરૂઆત કર્યા બાદ હાલની ભુપેન્દ્ર પટેલ સરકારે કૃષિ અને મહેસૂલ વિભાગના સંકલનના અભાવે યોજના પડતી મૂકી છે.સરકારે યોજના પડતી મુકવા અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે ઉદ્યોગપતિઓની ચિંતા કરનાર સરકાર દિલ્લીથી રિમોટ કંટ્રોલ પર ચાલે છે.જ્યારે નવો વિચાર આવે ત્યારે તેઓ યુ-ટર્ન મારે છે અને યોજનાઓ બદલે કે બંધ કરે છે.સરકારે આવી જમીનો ગરીબ પરિવારને સાંથણી માટે આપવી જોઈએ
મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનના મુખ્ય ઉદેશ્ય શું હતો?
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે લીઝ ઉપર અપાશે
કૃષિ-બાગાયતી પાકોના ઉત્પાદન અને આવક વધારી રોજગારીની નવી તકો ઉભી કરાશે
એકસપોર્ટ ઓરિએન્ટેડ અને પ્રોસેસિંગ કલસ્ટર ઊભા કરી કાપણી પછીની વ્યવસ્થાપન-વેલ્યુચેઇન-પ્રોસેસિંગ ઊદ્યોગો વિકસાવાશે