આજથી વિધાનસભા સત્રની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે એક તરફ સત્રની શરૂઆત થતા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજિલ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ આપતા રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું.
મેં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સાથે દગો કર્યોઃ રાઘવજી પટેલ
કેશુભાઈ પટેલે મને વિધાનસભાની ટીકીટ આપી હતીઃ રાઘવજી પટેલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું 29 ઓક્ટોબર 2020ના રોજ લાંબી માંદગી બાદ નિધન થયું હતું. ત્યારે આજે ગાંધીનગર વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજિલ આપતા દરમિયાન ધારાસભ્ય રાઘવજી પટેલે કહ્યું કે, મેં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સાથે દગો કર્યો. કેશુભાઈ પટેલે મને વિધાનસભાની ટીકીટ આપી હતી. મેં તેમની સરકારને ઉથલાવવા માટેનું કામ કર્યું હતું. આજે પણ મને તેનો રંજ છે. મારા ખોટા કામને કારણે હુ આજે ડાયાબીટીસથી પીડાઉ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં લોકસભા ચૂંટણીની સાથે 4 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. જેમાં રાઘવજી પટેલની પણ જીત થઇ હતી. જોકે આ અગાઉ તેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણી લડ્યા હતા. પેટાચૂંટણીમાં તેમની જીત થઇ હતી.