અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના ગરબામાં બાબલ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ થઈ છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જે વાઈરલ થઈ રહી છે. સેપ્ટ યુનિવર્સિટીમાં ગોરખધંધા ચાલતો હોવાનો ધર્મ પટેલે આક્ષેપ કર્યો છે.
નવરાત્રિનું આયોજન કરતા સ્ટુડન્ટ્સ એસોસિયેશનની નિષ્ફળતા
મેઘરાજના સાગરીતોએ મચાવ્યો હતો આતંક
ગુજરાત યુનિવર્સિટી પોલીસે ત્રણ શખ્સો સામે ચાર દિવસ પછી ગુનો નોંધ્યો
નવરાત્રી દરમિયાન દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતુ હોવાનો આક્ષેપ કર્યો છે. આ તમામ બાબતે યુનિવર્સિટીનું મેનેજમેન્ટ જવાબદાર હોવાનું ધર્મ પટેલે જણાવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યુ છે કે, આ કાર્યક્રમની કમાન જવાબદાર વ્યક્તિને સોંપવી જોઈએ. બહારથી આવતા લોકો વાતાવરણ બગાડતા હોવાનું તેમણે જણાવ્યું છે.
સ્ટુડેન્ટ એસોસિએશનની નિષ્ફળતા
સેપ્ટમાં આયોજિત થતા ગરબામાં લુખ્ખાઓના ત્રાસ અને મેનેજમેન્ટની નિષ્ફળતાને લઈ વિવાદનો મધપૂડો છેડાયો હતો. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પૌત્ર અને સેપ્ટ યુનિવર્સિટીના પૂર્વ સ્ટુડન્ટ્સ ધર્મ પટેલે ફેસબુક પર પોતાનો રોષ ઠાલવતાં નવરાત્રિનું આયોજન કરતા સ્ટુડન્ટ્સ એસોસિયેશનની નિષ્ફળતાનો બળાપો કાઢ્યો હતો. સેપ્ટ યુનિવર્સિટીના ગરબામાં લુખ્ખાં તત્ત્વોના આતંક અને દાદાગીરીને લઈ થયેલા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ત્રણ શખ્સો સામે ચાર દિવસ પછી મારામારી અને ધમકીનો સેકન્ડ પાર્ટનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
કોના વિરૂધ્ધ નોંધઈ ફરિયાદ
ગુજરાત યુનિવિર્સટી પાસેના એજ્યુકેશન ગ્રાઉન્ડમાં આવેલી સૃષ્ટિ હોસ્ટેલમાં રહેતા અને મૂળ રાજસ્થાનના મયંક જૈને યુનિવિર્સટી પોલીસ સ્ટેશનમાં મેઘરાજસિંહ, શક્તિસિંહ અને અન્ય એક વ્યકિત વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. મયંક સેપ્ટ યુનિવિર્સટીના ટેકનોલોજી વિભાગમાં પાંચમા વર્ષમાં અભ્યાસ કરે છે.
સરેઆમ છરાબાજી
8મી ઓક્ટોબરના રોજ મયંક ગરબાના પાર્કિંગમાં હાજર હતો ત્યારે તેને વોકીટોકી પર જાણ થઇ હતી કે ગરબાના ગ્રાઉન્ડમાં બબાલ થઇ છે. મયંકે ત્યાં જઇને જોતાં જાણવા મળ્યું હતું કે મેઘરાજસિંહ, શક્તિસિંહ અને અન્ય એક શખ્સે ગરબામાં ઘૂસી બોલાચાલી અને સિક્યોરિટી સાથે મારામારી કરી હતી. ત્રણ યુવકો પૈકી એક યુવકે છરી કાઢીને હવામાં ફેરવી ડર ઊભો કર્યો હતો.
યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી
વિદ્યાર્થી સાથે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે લોકો ચૂપચાપ યુવકોનો તમાશો જોતા હતા અને થોડી વાર બાદ તે ગરબામાંથી નાસી ગયા હતા. ગરબામાં બનેલી આ ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ગુનો દાખલ કરીને કોઇ કાર્યવાહી નહીં કરતાં વિવાદનો મધપૂડો છેડાયો હતો. સમગ્ર ઘટના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતાં રહી-રહીને યુનિવર્સિટી પોલીસે મેઘરાજસિંહ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મેઘરાજના સાગરીતોએ મચાવ્યો હતો આતંક
ચર્ચામાં છે કે નવમા નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં ગરબા પૂરા થયા બાદ આયોજકોએ લોકોને ઘરે જવાનું કહ્યું હતું. જે બાદ માથાભારે મેઘરાજ અને તેના સાગરીતો ઉશ્કેરાયા હતા અને બાઉન્સરે તેને ધક્કો મારતાં તે નીચે પડી ગયો હતો. જે બાદ 30 જેટલા સાગરીતોએ સેપ્ટ યુનિવર્સિટીમાં આતંક મચાવ્યો હતો અને હવામાં છરી ફેરવીને વિદ્યાર્થી સહિત એક બાઉન્સરને ઈજાગ્રસ્ત કર્યા હતા, જોકે પોલીસ ફરિયાદમાં આવો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.