સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી લોકસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 'ભાજપનો લોકસભાની ચૂંટણીમાં 400 સીટ જીતીને ભવ્ય વિજય થાય તેવી મેં સોમનાથ પ્રાર્થના કરી છે'
લોકસભા ચૂંટણીને લઈને પૂર્વ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
આગામી લોકસભાની ચૂંટણીને 400 દિવસ બાકીઃ વિજય રૂપાણી
ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય તેવી કરી છે પ્રાર્થનાઃ રૂપાણી
આજે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ દાદાના દર્શન કરવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે પહોંચ્યા હતા. શિવરાત્રીના પાવન પર્વ પર તેમણે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી અને આશીર્વાદ લીધા હતા. જે બાદ તેમણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
લોકસભાની ચૂંટણીને 400 દિવસ બાકીઃ વિજય રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'સોમનાથ દાદાની મારા પર અવિરત કૃપા છે. આવનારી લોકસભાની ચૂંટણીના 400 દિવસ બાકી છે અને ભાજપનો લોકસભાની ચૂંટણીમાં 400 સીટ જીતીને ભવ્ય વિજય થાય તેવી મેં સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે.'
ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી દીધી શરૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભા ચૂંટણી 2024 અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે આ માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી છે. નવસારી લોકસભા બેઠક પર અશોક ધોરાજિયાને લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
સર્વે અનુસાર પીએમ મોદીની લોકપ્રિયતા યથાવત
તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે અને આગામી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને પૂર્ણ બહુમતી મળવાની આશા છે. ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે 284 સીટો જીતી શકે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, 72 ટકા લોકો વડાપ્રધાનની કામગીરીથી સંતુષ્ટ છે.