ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યાં છે. મહત્વના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં એનસીપી છોડી શકે છે. ત્યારે હવે મહેન્દ્રસિંહ ફરી ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે.
શંકરસિંહ વાઘેલા NCP છોડશેઃ સુત્ર
ભવિષ્યમાં ફરીવાર ભાજપમાં જોડાઇ શકે મહેન્દ્રસિંહઃ સુત્ર
ગુજરાતમાં શંકરસિંહની સત્તા પર કાપ થતા નારાજગી
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં એનસીપી છોડશે. એનસીપી હાઇકમાન્ડ અને શંકરસિંહ વચ્ચે સંકલન તૂટી ગયું છે. ગુજરાતમાં દારુબંધી ઉઠાવવા મુદ્દે એનસીપી હાઇકમાન્ડ નારાજ હતું. એનસીપી છોડી મહેન્દ્રસિંહને ગોઠવવા માટે તખ્તો તૈયાર થઇ રહ્યો છે. મહેન્દ્રસિંહને ગોઠવવા શંકરસિંહ એનસીપીને અલવિદા કરશે. મહેન્દ્રસિંહ ભવિષ્યમાં ફરીવાર ભાજપમાં જોડાઇ શકે છે. આવતીકાલે શંકરસિંહની પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર રહેશે.
ગુજરાત NCPમાં શંકરસિંહની સત્તા પર કાપ
થોડા દિવસ અગાઉ જ રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ NCP(રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ)ના નવા પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જયંત પટેલ(બોસ્કી) અગાઉ પણ NCPના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે. જેને લઇને હવે શંકરસિંહ વાઘેલા ફરી નવાજૂની કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
ટ્વીટર પરથી પણ NCP નેતા તરીકેની હટાવી હતી ઓળખ
થોડા દિવસ અઘાઉ શંકરસિંહે ટ્વીટર પરથી NCP નેતા તરીકેની ઓળખ દૂર કરી હોવાનું સામે આવ્યું હતું. અગાઉ ટ્વીટર પર NCP જનરલ સેક્રેટરીને ઓળખ રાખી હતી, ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી તરીકેની ઓળખ રાખી છે.
જયંત બોસ્કી અને શંકરસિંહ વાઘેલાને બનતું નથી!
મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલા વર્ષ 2018ની રાજ્યસભાની ચૂંટણી, 2019ની લોકસભા ચૂંટણી અને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અગાઉથી આયોજન કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેમણે નવો પક્ષ અને મોરચો રચ્યો હતો. જેમાં તેમને નિષ્ફળતા મળતા તેમણે પોતાના જ પક્ષોનું વિસર્જન કર્યું હતું. ત્યારબાદ તેઓ NCPમાં જોડાયા હતા. ત્યારે પક્ષના વર્તુળો માને છે કે, જયંત બોસ્કી અને શંકરસિંહ વાઘેલાને બનતું નથી. ત્યારથી NCPમાં પણ 2 ભાગ પડ્યા હોવાનું મનાય છે. ત્યાર હવે તેઓ NCPને પણ અલવિદા કહેવાના મૂડમાં છે...