રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, તેઓ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા અને તેઓ સાજા પણ થયાં હતા. જો કે ત્યારબાદ તેમને હાર્ટ અટેક આવતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું દેહાવસાન
પ્રધાનમંત્રી મોદી, CM રૂપાણી સહિત દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
નોંધનીય છે કે, કેશુભાઈ પટેલને થોડા સમય પહેલા કોરોના થયાં બાદ છેલ્લા કેટલાક સમય પહેલા ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે શહેરની સ્ટર્લિન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
સવારે ઓક્સિજન લેવામાં તકલીફ પડી, હોસ્પિટલ લઇ જવાયા
જો કે, છેલ્લા બે દિવસથી તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવેલ. પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું છે. કેશુભાઈના નિધન બાદ તેમના પુત્ર ભરત પટેલે જણાવ્યું કે, કોરોના પછી તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. સવારે ઓક્સિજન લેવામાં તકલીફ પડી, હોસ્પિટલ લઇ જવાયા હતા.
CM રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહીં ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. મુખ્ય મંત્રી રૂપાણીએ વધુમાં કહ્યું કે કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા, રણદીપ સુરજેવાલ, સાંસદ પરિમલ નથવાણી, શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય લલીત કગથરા, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સહિત અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો હતો.
કોણ હતા કેશુભાઇ પટેલ ?
કેશુભાઇ પટેલનો જન્મ 24જુલાઇ 1928ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી પદ પર રહ્યા હતા. 2 ઓક્ટોબર 2001 ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. 2002માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા અને 4 ઓગસ્ટ 2012 ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.