અવારનવાર વિવાદોમાં ઘેરાયેલા સીબીઆઈના ભૂતપૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના ઈશારે ચંડીગઢમાં એક ડોક્ટર પાસેથી ૫૦ લાખ રૂપિયા વસૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડોક્ટરની ફરિયાદના આધારે અસ્થાના, ચંડીગઢના ભૂતપૂર્વ ડીજીપી તેજિંદર સિંહ લુથરા, દિલ્હી પરત જઈ ચૂકેલા ડીએસપી સતીશકુમાર અને ઈન્સ્પેક્ટર અશ્વનીકુમાર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
CBI ના પૂર્વ સ્પેશિયલ ડાયરેકટર અસ્થાના સામે તપાસના આદેશ
ડીજીપી લૂથરા સહિત ચાર સામે તપાસના આદેશ
આ તપાસ માટે CBI દિલ્હીએ જ યુટીના ચીફ વિજિલન્સ ઓફિસર એટલે કે એડવાઈઝર મનોજ પરિંદાને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, આ સમગ્ર મામલો ચંડીગઢનો છે. ત્યાં અધિકારીઓએ સત્તાનો દુરૂપયોગ કર્યો છે. તેથી યુટી વિજિલન્સે જ આ મામલાની તપાસ કરવી જોઈએ.
યુટી વિજિલન્સે આ સંદર્ભે રિપોર્ટ દાખલ કરીને ફરિયાદી ડો.મોહિતને પૂછ્યું હતું કે, જો તેઓ ફરિયાદ પર મક્કમ હોય તો જ આગળની તપાસ કરવામાં આવશે. ડોક્ટરની સંમતિ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવી છે. રાકેશ અસ્થાના હાલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોમાં તહેનાત છે, જ્યારે તેજિંદર લુથરા દિલ્હી પોલીસમાં ફરજ બજાવે છે.
આ સમગ્ર મામલો ચંડીગઢના સેક્ટર-૨૧માં રહેતા ડો.મોહિત દીવાન સાથે સંકળાયેલો છે. તેમણે એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, IPS રાકેશ અસ્થાનાના ઈશારા પર તત્કાલિન ડીજીપી લુથરાએ તેમની પાસેથી તેમના વિદેશી દર્દીને ૫૦ લાખ રૂપિયા અપાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ માટે ડીએસપી સતીશકુમાર અને તત્કાલિન એસએચઓ અશ્વનીકુમારે પણ શક્ય તમામ પ્રયાસો કર્યા હતા. તેમને ખૂબ પરેશાન કરવામાં આવ્યા હતા. ક્યારેક પોલીસને તેમના ઘરે મોકલવામાં આવતી, તો ક્યારેક તેમને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવતા અને ડીજીપીના રૂમમાં બેસાડીને ધમકી આપવામાં આવતી હતી.
ડો. દીવાને સપ્ટેમ્બર, ૨૦૧૯માં સીબીઆઈ ડાયરેક્ટરને ફરિયાદ કરી હતી. જ્યારે સીબીઆઈએ તપાસ કરી ત્યારે જાણ થઈ કે ડોક્ટરે કોઈ પૈસા આપ્યા નથી, તેઓ પોલીસ સામે સીધા કોર્ટમાં ગયા હતા. આથી ફરિયાદ પરથી એવું લાગે છે કે, તેમાં પાવરનો દુરૂપયોગ કરીને ડોક્ટરને ખુબ હેરાન કરવામાં આવ્યા હતા.
તેથી ચંડીગઢ વિજિલન્સે આ ફરિયાદ પર કામ કરવું જોઈએ. આ કેસમાં મોટા અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. તેથી સીબીઆઈએ સીધા એડવાઈઝર મનોજ પરિદાને તપાસ કરવા માટે કહ્યું છે. આદેશ બાદ વિજિલન્સે તપાસ શરૂ કરી છે. ફરિયાદીનું નિવેદન પહેલા નોંધવામાં આવશે. ત્યારબાદ જે અધિકારીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે, તેમને તપાસમાં સામેલ થવા બોલાવવામાં આવશે.