ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન લાલજી મેરે ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે. જોકે કોંગ્રેસમાં પ્રવેશતાં જ લાલજી મેરના તેવર પણ બદલાઈ ગયા. લાલજી મેરે કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપ પર આકરા પ્રહાર કર્યા.
લાલજી મેરે કહ્યું કે ખેડૂતોના મુદ્દાઓ પર સરકાર સામે ઝઝુમતો રહ્યો પણ સરકાર એકની બે ન થઈ. ખેડૂતોની જમીન સરકાર ખાઈ ગઈ અને જમીન માપણી મામલે સરકારે ખેડૂતોને ઝગડાવ્યા. સરકારે કયો વિકાસ કર્યો છે એ પણ મને નથી સમજાતું. આ સાથે જ લાલજી મેરે જણાવ્યું કે લોકોના કહેવાથી હું કોંગ્રેસમાં જોડાયો છું.
ઉલ્લેખનીય છે કે 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. અને 2017 સુધી ધંધુકાના ધારાસભ્ય રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપની સાથે ઘણા સમયથી છે. જેઓ સક્રિય કાર્યકર્તા છે. જેમના રાજીનામાથી ભાજપને ફટકો પડી શકે છે.
આપને જણાવી દઇએ કે જસદણ વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં આવવાની છે ત્યારે ભાજપના એક સમયના ધારાસભ્ય અને પક્ષના પીઢ નેતા લાલજી મેરે પક્ષને ગુડ બાય કીધા બાદ રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો હતો.