ભાવનગરઃ આવતીકાલે નારીથી અધેલાઈને જોડતા ૩૨ કિલોમીટર લાંબા માર્ગને ફોરલેન બનાવવા માટે ખાતમુહૂર્ત યોજાનાર છે. જેમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ રાજ્યપાલ ઓ.પી.કોહલી મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મનસુખ માંડવીયા સહીતના મહાનુભાવો હાજરી આપશે.
ભાવનગર-અમદાવાદ ટૂંકા માર્ગ ઉપર આવેલા નારીથી અધેલાઈ વચ્ચે ૩૨ કિલોમીટર માર્ગ છેલ્લા ૨૫ વર્ષથી ખરાબ હાલતમાં છે. આ રોડ પર અકસ્માત સંભવિત છે ત્યારે આખરે આ માર્ગને કેન્દ્ર સરકારે મંજુરી આપતા હવે RCC ફોરલેન રોડ બનવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહીતના મહાનુભાવો ૧૧ કલાકે નારી ચોકડી ખાતે ઉભા કરાયેલ ડોમમાં આ રોડનું ખાત મૂહુર્ત કરશે. આ રોડ ૮૨૦ કરોડનાં ખર્ચે તૈયાર થશે અને અઢી વર્ષમાં પૂર્ણ થશે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ સહીતના કાફલા માટે સમગ્ર શહેર તેમજ ડોમ મંડપ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં રાજ્યના પોલીસવડા સહીત પાંચ DSP પચાસથી વધુ PI તેમજ ૧૫૦૦ જેટલા કોન્સ્ટેબલ સહીતનો કાફલો ગોઠવવામાં આવ્યો છે. ખાત મૂહુર્ત ઉપરાંત હાઉસિંગ બોર્ડના મકાનોનું લોકાર્પણ તેમજ જીલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત સહીતના કાર્યક્રમો યોજાશે.