કોરોના કટોકટીના સમયમાં મોદી સરકારે આંતરરાષ્ટ્રીય ફલાઈટો પર પ્રતિબંધો મુક્યા બાદ ઘણા ભારતીયો અલગ અલગ દેશોમાં ફસાયા હતાં. જેમને ભારતમાં પરત લાવવા માટે સરકાર દ્વારા વંદે ભારત મિશનની શરૂઆત કરાઈ હતી, જેના પગલે ઘણી ફ્લાઈટોને ઓપરેટ કરવામાં આવી હતી અને આ મિશનને લઈને સરકારે વાહવાહી મેળવી હતી પરંતુ આર્થિક રૂપે સદ્ધર NRI લોકોએ અ સુવિધાનો લાભ લીધો હતો જયારે ગરીબ કામદારોએ...?
વંદે ભારત મિશન કેટલું સાર્થક? ગરીબો ભૂલાયા
સલાયાના 250 ગરીબ કામદારો ફસાયા દુબઈમાં
ટિકીટના પૈસા નથી, સરકારી મદદની ઠગારી આશા
ગરીબો ભૂલાયા
વંદે ભારત મિશન હેઠળ આમતો સંખ્યાબંધ લોકોને ભારત પરત લાવવામાં આવ્યા હતાં, જેમાં મોટા ભાગે વિવિધ દેશોથી આર્થિક રૂપે સદ્ધર વર્ગ ભારત પહોંચી ગયો હતો. પરંતુ આ મિશનમાં ગરીબો ભૂલાઇ ગયા. જી હાં જામનગરના સલાયાના 250 કામદારો દુબઇમાં ફસાયા છે. આ કામદારો છેલ્લા 1 મહિનાથી દુબઇમાં ફસાયા છે. જેઓ ખુબ જ ગરીબ છે અને આ 250 કામદારોની હાલત એવી છે કે, ટિકિટ ખરીદીને ભારત પરત ફરવું તેમને પોસાય તેમ નથી. કેમ કે ટીકીટ ખરીદવા માટેના જરૂરી પૈસા પણ તેમની પાસે નથી. હાલ આ 250 મજૂરો બોટ પર જીવન ગુજારવા માટે મજબુર છે.
ત્યાંના તંત્રની નથી પૂરતી સહાય, માદરે વતન પર ભરોસો
આ કામદારોને ત્યાના તંત્ર દ્વારા પણ પુરતી સહાય કરવામાં આવી નથી. જેથી તેમની ચકળવકળ આંખો ભરોસા માટે માત્ર એક જ દિશામાં મંડાય છે અને એ છે એમના 'માદરે વતન દેશ ભારત ભણી'. આ ગરીબ અને મહેનતકશ લોકો પોતાના દેશની સરકારના એકમાત્ર ભરોસે છે. તેઓ ત્યાં સમુદ્રમાં બોટ પર સમય ગુજારવા મજબુર છે.
છેલ્લા 1 માસથી ફસાયા છે,બોટ પર રહેવા છે મજબુર
છેલ્લા 1 માસથી ફસાયેલા આ લોકો પાસે ખાવા પીવા માટેનો પર્યાપ્ત પુરવઠો પણ જરૂરી માત્રામાં ઉપલબ્ધ નહોતો, પરંતુ હાલ દુબઈના અમુક ભારતીય સેવાભાવી લોકો આ કામદારોને ભોજન પહોંચાડી રહ્યાં છે. હાલ આ કામદારોની મદદ માટેનો એકમાત્ર આશાનો તંતુ તેમના દેશની સરકાર પર આધાર રાખીને બેઠો છે. આ ભારત સરકારની મદદની આશાએ તેઓ ટકી રહ્યા છે. અત્યાર સુધીના વંદે ભારત મિશનના અલગ અલગ ફેઝમાં જો કે આ આશા પૂર્ણ થઈ નથી. હવે જોવાનું એ રહે છે કે શું ખરેખર ભારત સરકાર એ કામદારોની વહારે આવશે ખરી?
શું છે વંદે ભારત મિશન ?
ભારત સરકાર દ્વારા કોરોના વાયરસના પગલે જાહેર કરાયેલા લોકડાઉનને પગલે દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. અચાનક લદાયેલા આ નિર્ણયથી ઘણા ભારતીય પ્રવાસી નાગરિકો (NRI અને IOC) અલગ અલગ દેશોમાં ફસાયા હતાં. આ સિવાય ઘણા લાંબા સમયથી વસતા ભારતીય લોકોને પણ કોરોનાના પગલે વિદેશોમાં મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો હતો, આ સ્થિતિમાં આ લોકોને ઉગારીને ભારત પરત લાવવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારત સરકાર દ્વારા કોરોના કાળની સૌથી મોટી ઈવેક્યુએશન પ્રોસેસ શરુ કરી હતી. જે 1990માં ગલ્ફ દેશોમાં ફસાયેલા 1,77,000 ભ્ર્તીયોને પરત લાવવા કરતા પણ મોટી છે. આ પ્રોસેસ 7 મે 2020થી શરુ કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધી 5 અલગ અલગ સંસ્કરણ યોજાઈ ચુક્યા છે. જેમાં સરકારી એર ઇન્ડિયા સાથે જ પ્રાઇવેટ એરલાઈન્સ પણ ઓપરેટ કરી રહી છે.
શું છે ઓપરેશન સમુદ્ર સેતુ?
આવા જ સમાન ઉદ્દેશ્ય માટે ભરતીય નૌકાદળે પોતાના બે જહાજો INS જલશ્વ અને INS મગર ફાળવ્યા છે જેઓ સમુદ્ર માર્ગેથી ભારતીયોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.