વલસાડઃ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે જંગલની જમીન માટે સંબંધિત વિભાગની કચેરીના ધક્કા ખાતા આદિવાસીઓ માટે લોક દરબારનું એક અભિયાન શરુ કર્યું છે. આ અંતર્ગત વલસાડમાં યોજાયેલા લોક દરબારમાં રાજ્યના સબંધિત વિભાગના અધિકારીઓ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ સાથે રાખ્યા હતા. અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા અને મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય અરજીનો ત્વરિત નિકાલ થાય તે માટેના પગલા લેવા આદેશ કર્યા હતા. રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે કરેલી આ પહેલ આદિવાસીઓને સરકારી કચેરીઓના ધક્કા ખાતા બંધ કરશે તેવી આશા સેવાઈ રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીના હક અને વિકાસ માટે વર્ષ 2006ના જંગલ જમીન અધિકાર કાયદા આવ્યા બાદ પણ રાજ્યમાં આ કાયદાનું સંપૂર્ણ અમલ હજુ સુધી થઈ શક્યો નથી. ત્યારે રાજ્યના વન અને આદિજાતિ મંત્રીએ આદિવાસીઓ માટે જંગલ જમીન હક માટે આગળ આવ્યા છે. રાજ્યના આદિવાસી પટ્ટામાં રહેતા આદિવાસીઓને જંગલની જમીન માટે સંબંધિત વિભાગની કચેરીના ધક્કા ખાતા આદિવાસીઓ માટે એક અભિયાન શરુ કર્યું છે.
લોક દરબાર યોજી આદિવાસીઓના વહારે આવ્યા
જંગલ જમીનના અધિકારો અપાવવા માટે પડતર પ્રશ્નોના નિકાલ માટે સામે ચાલીને અરજદારો સુધી જઈ લોક દરબાર યોજી આદિવાસીઓના વહારે આવ્યા છે. આદિવાસી અરજદારોને જંગલ વિભાગના અધિકારીઓને સાથે રાખી સાત દિવસમાં અરજીઓનો નિકાલ કરવાના આદેશ કરતા સંબંધિત વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
બાપ દાદાના સમયથી જંગલની જમીન ખેડતા આવ્યા છે
રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો મોટાભાગે આદિવાસી વિસ્તાર છે. જિલ્લાના ઉમરગામ કપરાડા અને ધરમપુર તાલુકો આદિવાસીઓનું પ્રભુત્વ છે. જંગલમાં વસતા આદિવાસીઓ વર્ષોથી બાપ દાદાના સમયથી જંગલની જમીન ખેડતા આવ્યા છે. જોકે હજુ સુધી તેઓને હક મળ્યા નથી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2006માં જમીનનો કાયદો લાવવામાં આવ્યો હતો. જંગલમાં વસતા આદિવાસીઓને જમીનના હક્ક આપવા માટેની શરૂઆત કરી હતી. જોકે વલસાડ જિલ્લામાં હજુ પણ અસંખ્ય પરિવારો જંગલની જમીનના હક્કો મેળવવા માટે વલખા મારી રહ્યા છે.