ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ચીન પોતાની વિસ્તારવાદી નીતિ હેઠળ કામ કરી રહ્યું છે એવામાં ફરીવાર ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં ચીનને જવાબ આપી દેવામાં આવ્યો છે.
સંબંધોમાં ગંભીર તણાવ પણ સરહદ પર સ્થિતિ બદલવાના પ્રયત્ન અસ્વીકાર્ય છે : જયશંકર
એસ. જયશંકરનું નિવેદન
ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે શનિવારે દેશના વિદેશમંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સંબંધ ગંભીર તણાવમાં છે સંબંધો સામાન્ય કરવા માટે બંને દેશોએ છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા કરારોનું સમગ્રપણે અને નિષ્ઠાપૂર્વક સન્માન કરવું જોઈએ.
વિદેશ મંત્રીએ પણ કહ્યું કે સરહદની સ્થિતિમાં કોઈ પણ એકતરફી પરિવર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી, નોંધનીય છે કે તે સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાનમાં બોલી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે ત્રણ દાયકાથી સંબધ સ્થિર રહ્યા કારણ કે બંને દેશોએ નવી પરિસ્થિતિમાં પડકારોનો સમાધાન કાઢ્યું.
સરહદ પર લાંબા સમયથી વિવાદ
નોંધનીય છે કે મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે લદાખમાં સરહદ વિવાદ ખૂબ વધ્યો હતો જે બાદ ભારતના વીર સપૂતોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું. બંને દેશો વચ્ચે તે બાદ ઘણી વાર વાતચીત થઇ ગઈ છે પરંતુ વિવાદ હજુ સુધી સમાપ્ત થયો નથી. અવારનાવાર ચીન તરફથી જુદા જુદા દાવાઓ કરી દેવામાં આવે છે અને સૈનિકોની સંખ્યા વધારીને ભારતને આંખો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. એવામાં ભારતના લોખંડી પુરુષની જન્મજયંતી પર દેશના હાલના વિદેશમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચીનને જવાબ આપી દીધો છે કે સરહદ પર એકતરફી કોઈ પણ ફેરફાર અસ્વીકાર્ય છે.