પતંગરસિકો માટે સામાન્ય રાહતના સમાચાર છે કે આજે પવન સામાન્ય રહેશે. એટલે કે આજે પવનની ગતિ 15 થી 20 કિમીની ઝડપે રહેશે. આ સાથે જ અઘટિત ઘટનાઓમાં રાહત આપવા માટે 108ની ટીમો પણ ખડેપગે રહેશે. આજના ખાસ દિવસે 108ની ટીમોમાં વધારો કરાયો છે. આજથી અનેક શુભ મૂહુર્તોની શરૂઆત થશે. આ સાથે જ અનેક રાજકીય નેતાઓ પણ અમદાવાદમાં ઉજવણીનો આનંદ માણશે.
સામાન્ય પવન સાથે આજે ઉતરાયણની ઉજવણી
હવામાન વિભાગે આપી છે સામાન્ય ધુમ્મસની ચેતવણી
રાજકીય આગેવાનો અમદાવાદના સમર્થકો સાથે ઉજવણી કરશે
રાજ્યભરમાં આજે મકરસંક્રાંતિની ઉજવણી
આજના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આજના દિવસથી શુભ મૂહુર્તોની શરૂઆત થાય છે. આજના દિવસે દાન - પૂણ્ય કરવાનો અનેરો મહિમા છે. આજે ગાયને ઘાસ અને પક્ષીઓને દાણા નાખવાનું મહત્વ હોવાથી લોકો ગૌ શાળામાં દાન કરે છે. પક્ષીઓને ચણ નાંખે છે. ગુજરાતમાં ધૂમધામથી ઉત્તરાયણની ઉજવણી થાય છે. મોટા શહેરોથી માંડીને ગામડાઓમાં ઉતરાયણનો અનેરો ઉત્સાહ જોવા મળે છે.
હવામાન વિભાગે કરી છે આ આગાહી
લોકો આખો દિવસ ધાબા પર રહી પર્વની ઉજવણી કરે છે તો પતંગ રસિકો પતંગ ચગાવીને આનંદની મજા માણે છે. સાથે સાથે આજના દિવસે ઊંધિયું, જલેબી અને ચીકીની લિજ્જત પણ માણવામાં આવે છે. આજના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ તરફથી પણ સારા સમાચાર આવ્યા છે. આજે દિવસભર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા નહી મળે. જેને લઈને પતંગરસિકો દિવસભર પતંગ ચગાવવાની મજા માણી શકશે. તો પક્ષીઓની સુરક્ષા માટે સેન્ટરો શરૂ કરાયા છે. જેમાં ખાનગી સંસ્થાઓ, NGO અને પક્ષીપ્રેમીઓ સેવા આપશે.
રાજકીય આગેવાનો અમદાવાદના સમર્થકો સાથે ઉજવણી કરશે
રાજ્ચભરમાં ઉત્સાહ પૂર્વક ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આજે પણ અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારની ધૂમ જામશે. રાજકીય આગેવાનો અમદાવાદના સમર્થકો સાથે ઉજવણી કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં કનકકલા ખાતે ઉતરાયણ મનાવશે. જ્યારે CM વિજય રૂપાણી અશોક પટેલના નિવાસ સ્થાને જશે. તો જીતુ વાઘાણી ગોદરેજ ગાર્ડન સિટીમાં ઉતરાયણ મનાવશે. જ્યારે મેયર બિજલ પટેલ તેમના નિવાસ સ્થાને AMCના કાઉન્સિલરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. તો રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ વસ્ત્રાલમાં સમર્થકો સાથે રહેશે અને ઉત્તરાયણ મનાવશે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ અમદાવાદમાં ઉત્તરાયણ મનાવશે. આસ્ટોડિયા અને ખોખરામાં કાર્યકર્તાઓ સાથે રહીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. આ દરમિયાન અમિત ચાવડા મોંઘવારીનો પતંગ ચગાવીને વિરોધ કરશે. આપને જણાવી દઈએ કે, ઉત્તરાયણમાં પણ CAA અને NRCનો વિરોધ જોવા મળશે કોંગ્રેસના આગેવાનો પતંગ પર CAA અને NRC વિરૂદ્ધ લખાણ લખશે. કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને શશીકાંત પટેલ પતંગમાં લખાણ લખીને વિરોધ કરશે. તેમની સાથે સાથે બદ્દરૂદ્દિન શેખ અને દિનેશ શર્મા પણ પતંગમાં લખાણ લખીને વિરોધ નોંધાવશે.