શિવજીને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહીં પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શંકર ભગવાનને ભોળાનાથ કહેવામાં આવે છે કારણ કે તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તે દયાની મૂર્તિ છે તો બીજી બાજુ તેમના ક્રોધથી આખી પૃથ્વી થરથરે છે.
ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવીજ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે.
પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગની પૂજાની પરંપરા શરૂ કેવી રીતે થઈ અને સૌથી પહેલા ભોળાનાથના લિંગ સ્વરૂપની પૂજા કરી હતી ? તો આજે જાણી લો આ પરંપરાનો પ્રારંભ કોણે અને કેવી રીતે કરી હતી.
પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા વિવાદ શરૂ થયો. સ્વયંને શ્રેષ્ઠ સાબિત કરવા બંને એકબીજાનું અપમાન કરવા લાગ્યા અને વિવાદ વધવા લાગ્યો આ સમયે અચાનક અગ્નિની જ્વાળાઓથી ઘેરાયેલું લિંગ સ્વરૂપ બંને દેવતાઓની વચ્ચે આવી ગયું. આ દ્રશ્યથી બંને દેવ આશ્ચર્યમાં પડી ગયા અને લિંગનો સ્ત્રોત શોધવા લાગ્યા.
બંને દેવતાઓને આ સાથે જ ઓમનો સ્વર સંભળાવા પણ લાગ્યો આ સાંભળી બંને દેવતાઓ પણ ઓમનું રટણ કરવા લાગ્યા. વર્ષોની આરાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને બ્રહ્માજી તેમજ વિષ્ણુ ભગવાનને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તેઓ લિંગના રૂપે સ્થાપિત થઈ ગયા. માન્યતા છે કે ત્યારપછીથી લિંગ પૂજાની પરંપરા શરૂ થઈ.