ભાજપે ગુજરાતમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કોંગ્રેસની પકડ નબળી કરવા માટે તેની વ્યૂહરચના બદલી છે. આ વખતે ભાજપે પણ વ્યારા વિધાનસભા બેઠક પરથી ખ્રિસ્તી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
વ્યારા બેઠક પર પ્રથમ વખત બે ખ્રિસ્તી ઉમેદવારો સામ-સામે
આ બેઠક ગણાય છે કોંગ્રેસનો ગઢ ગણાય છે
1962થી 2017 સુધી કોંગ્રેસના કબજામાં વ્યારા બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઘણો ઉલટ-ફેરો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સામે સત્તા બચાવવાનો પડકાર છે. આવી સ્થિતિમાં ટિકિટ વિતરણમાં અનેક સમીકરણો પર વિચાર કરવામાં આવ્યો છે. ભાજપે વ્યારા વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત કોઈ ખ્રિસ્તી ઉમેદવારને ટિકિટ આપી છે. આ એ જ વિધાનસભા છે જેણે ગુજરાતને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી આપ્યા હતા. આ સીટ પર પ્રથમ વખત શાસક ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા બે ખ્રિસ્તી ઉમેદવારોની વચ્ચે મુકાબલો થશે.
ભાજપ-કોંગ્રેસ બંને વ્યારા બેઠક જીતવાનો કરી રહી છે દાવો
કોંગ્રેસે વ્યારા વિધાનસભા બેઠક (અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત બેઠક) પરથી તેના વર્તમાન ધારાસભ્ય પુનાભાઈ ગામીતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે વ્યારા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને મેદાનમાં ઉતાર્યા છે. પુનાભાઈ ગામીતનું કહેવું છે કે ખ્રિસ્તી મતદારો ફરીથી કોંગ્રેસને સમર્થન આપશે, જ્યારે કોંકણીનો દાવો છે કે રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસને કારણે લોકો ભાજપને મત આપશે. જો કે, રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને સાથે લઈને ચાલવાના કોંગ્રેસના અભિગમે તેને આદિવાસી બહુમતીવાળી બેઠકો જીતવામાં મદદ કરી છે, જ્યારે આ મતવિસ્તારમાં સામાજિક ગતિશીલતાને જોતા ભાજપે વ્યારા જીતવા માટે પુનર્વિચાર કરવો પડશે.
વ્યારા બેઠકનું ચૂંટણીનું ગણિત
દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા તાપી જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા બેઠક પર કુલ 2.20 લાખ મતદારોમાંથી લગભગ 40,000 અથવા 20 ટકા ખ્રિસ્તીઓ છે. વ્યારા વિધાનસભામાં મોટાભાગના ખ્રિસ્તીઓ આદિવાસી ગામીત, ચૌધરી અને કોંકણી સમુદાયમાંથી ધર્માંતરિત થયેલા છે. ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં આ બેઠક પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરસિંહ ચૌધરીએ 1972 અને 1990ની વચ્ચે 5 વખત આ બેઠક જીતી હતી અને 1985માં રાજ્યના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી બન્યા હતા.
પ્રથમ વખત ખિસ્તી ઉમેદવારને ઉતાર્યા મેદાનમાં
પુનાભાઈ ગામીત પ્રથમ વખત 2004માં બેઠક પરથી પેટાચૂંટણી જીત્યા હતા, જે વર્તમાન ધારાસભ્ય અને અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીના માંડવી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ખાલી પડી હતી. ત્યારપછી તેમનો મુકાબલો ભાજપના પ્રતાપ ગામીત સામે થયો હતો, જેમને તેમણે ત્યારપછીની ત્રણ ચૂંટણીઓમાં હરાવ્યા હતા. 2017માં ગામીતે ભાજપના અરવિંદ ચૌધરીને હરાવ્યા હતા. 2022ની ચૂંટણી માટે ભાજપે પ્રથમ વખત ખિસ્તી આદિવાસી ઉમેદવાર મોહન કોંકણીને મેદાનમાં ઉતાર્યા છે.
આદિવાસી બેઠકો પર કોંગ્રેસની સફળતાએ ભાજપને વિચારવા કરી મજબૂર
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, હાંસિયામાં પડેલા સમુદાયોને સાથે લઈને ચાલવાના અભિગમને કારણે આદિવાસી બેઠકો પર કોંગ્રેસની સફળતાએ ભાજપને પોતાની વ્યૂહરચના પર ફરીથી વિચાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે દાવો કર્યો છે કે, આ પ્રદેશમાં આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન લાંબા સમયથી ચાલી રહ્યું છે, જેનાથી તેની સામાજિક ગતિશીલતા જટિલ બની ગઈ છે. 1990 પછીની છેલ્લી સાત વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે 1995 અને 2002 સિવાય રાજ્યમાં ભાજપ કરતાં વધુ સંખ્યામાં એસટી-અનામત બેઠકો જીતી છે.
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર જંગ
ફેબ્રુઆરી 2021ની ચૂંટણીમાં આદિવાસી બહુલ તાપી જિલ્લા પંચાયતમાં તેની પ્રથમ જીત બાદ ભાજપ ઉત્સાહિત છે. ભાજપ પક્ષના સીટીંગ પંચાયત સભ્ય કોંકણીએ જણાવ્યું હતું કે, હું જે બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યો હતો ત્યાં 75 ટકા ખ્રિસ્તી મતદારો છે અને તેઓએ મને જબરજસ્ત સમર્થન આપ્યું છે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિકાસના કામો થતા હોવાનું વિસ્તારની જનતાએ જોયું છે. આવી સ્થિતિમાં વ્યારા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર જંગ જોવા મળી શકે છે.