ભારતમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા 104 કરોડ સુધી પહોંચી ચુકી છે. ઇન્ટરનેટના વિસ્તાર અને સોશિયલ સાઇટના વ્યસને લોકોને મોબાઇલ લતના શિકાર બનાવી દીધા છે. આ એવું વ્યસન છે જે માનવીને મદહોશ કરવાની સાથે સાથે તેની મનોદશા પણ બગાડી દે છે.
આખો દિવસ માથુ નીચુ રાખીને મોબાઇલ સ્ક્રીન સાથે ચિપકી રહેનાર લોકોની યાદીમાં ફક્ત યુવાવર્ગ નહી, પરંતુ 2થી 14 વર્ષની ઉંમરના બાળકો અને કિશોરો પણ છે. હવે આવા લોકોના ઇલાજ માટે મોબાઇલ નશા મુક્તિ ઉપચાર કેન્દ્ર ખોલવામાં આવ્યુ છે.
આ કેન્દ્રનું સંચાલન કરી રહેલા ન્યુરોસાઇકેટ્રિક ડો. જેપીએસ ભાટિયાએ દાવો કર્યો છે કે આ દેશનું પહેલું મોબાઇલ નશા મુક્તિ ઉપચાર કેન્દ્ર છે. આ પહેલા બેંગલુરુમાં ઇન્ટરનેટ નશા કેન્દ્ર ખુલેલું છે, પરંતુ કોઇ પણ રાજ્યમાં મોબાઇલ નશા મુક્તિ કેન્દ્ર ખુલ્યુ નથી. અહીં 2થી 50 વર્ષની ઉંમરના લોકોનો ઇલાજ કરાય છે. અત્યાર સુધી અહીં 25 જેટલા કેસ આવી ચુક્યા છે. તેમાં છ યુવાનો, ત્રણ વૃધ્ધો અને બાકી બધા બાળકો છે. આ તમામને મનોવૈજ્ઞાનિક પરામર્શ અપાય છે.
ડો ભાટિયાએ જણાવ્યુ કે થોડા સમય પહેલા એક બે વર્ષના બાળકને તેમના ત્યાં લવાયો હતો. તેનો વ્યવહાર અન્ય બાળકો કરતા અલગ હતો. તેઓ બાળકના માતા પિતા સાથે વાત કરી રહ્ય હતા તે સમયે તેમનો મોબાઇલ ટેબલ પર પડ્યો હતો જેને જોતા જ બાળકની આંખમા ચમક આવી ગઇ. તેને મોબાઇલ આપ્યો તો તે ખુશ થઇ ગયો. મોબાઇલ પાછો માંગ્યો તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઇ ગયો. તે ત્યાં સુધઈ રડતો રહ્યો જ્યાં સુધી તેને ફરી મોબાઇલ ન અપાયો. ત્યારબાદ તેમને આ સેન્ટર ખોલવાનો વિચાર આવ્યો.
ડોક્ટર ભાટિયાએ માતાપિતાને આટલું ધ્યાન રાખવા જણાવ્યુ છે
- પેરેન્ટ્સ બાળકોને મોબાઇલ ફોન ન આપે
- એવી ગેમ્સ ન રમવા દે જેનાથી બાળકોમાં આક્રમકતા આવે.
- સ્ક્રીનની બ્રાઇટનેસ 100થી 15 કરી દે
- બાળકોને ઇનડોર અને આઉટડેર ગેમ રમવા દે
- બાળકોને મનપસંદ રમકડાં લાવી આપે
- બાળકો સાથે વાતો કરે અને તેમને સમય આપે.