અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની કુલ 192 બેઠક પર 'આપ' ચૂંટણી જંગ ખેલવાની છે.
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી જંગમાં પહેલી વખત ભાગ્ય અજમાવવા જઈ રહી છે. છેલ્લી 2015ની ચૂંટણીમાં 'આપ' દ્વારા એક પણ બેઠક પર ઉમેદવાર ઉતારાયો નહોતો, પરંતુ આ ચૂંટણીમાં સઘળી ૧૯૨ બેઠક પરથી 'આપ' ચૂંટણી લડવાની હોઈ અત્યાર સુધીમાં 170 બેઠક પર ઉમેદવાર જાહેર પણ કરી દીધા છે.
ત્રીજો વિકલ્પ આપવાની AAPની કોશિશ
'આપ' દ્વારા અમદાવાદીઓ સમક્ષ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની કુલ 192 બેઠક પર 'આપ' ચૂંટણી જંગ ખેલવાની છે. જેથી ચૂંટણીના માહોલમાં નવો રંગ ઉમેરાયો છે. આજે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે 'આપ' દ્વારા બાકીની 22 બેઠક પર પણ ઉમેદવારનાં નામ જાહેર કરી દેવાયા છે.
ભાજપના કોર્પોરેટરોએ પણ અમારો સંપર્ક કર્યો હતો
'આપ'ના પ્રદેશ સંગઠન મંત્રી હસમુખ પટેલે કહ્યું કે, ''ભાજપમાંથી કપાયેલા ઘણા સિટિંગ કોર્પોરેટરોએ ટિકિટ માટે અમારો સંપર્ક કર્યો હતો. પરંતુ અમે હજુ સુધી કોઈને ટિકિટ આપી નથી. 'આપ' સર્વધર્મ સમભાવમાં માને છે. દેશ અને સમાજના હિતને ખાસ મહત્ત્વ આપે છે એટલે ભાજપના સારી વિચારધારા ધરાવનારને ચોક્કસપણે પક્ષ આવકારશે અને આવા લોકોને ટિકિટ આપી પણ શકે છે.
લઘુમતી સમાજનું પ્રતિનિધિત્વ કરતા આશરે 15થી 20 ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારાયા છે. દરિયાપુર, સરખેજ જેવા વોર્ડમાંથી આ ઉમેદવાર ચૂંટણી લડશે, જોકે અસદુદ્દીન ઓવૈસીની 'MIM' અને 'આપ'ના કારણે લઘુમતી સમાજના મત વહેંચાઈને ભાજપના વિજયની તક વધશે તેવી શક્યતાને AAPના નેતાએ ફગાવી
જ્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા પક્ષના પ્રચાર-પ્રસાર માટે આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ સવારે હાટકેશ્વરના નાગરવેલ હનુમાનથી અને બપોરે સુરધારા સર્કલથી રોડ શોમાં છે. જયારે બાપુનગર સ્ટેડિયમ ખાતે બપોરે સભાને સંબોધશે.