કરદાતાઓની સુવિધા માટે આવકવેરા વિભાગે પાન નંબરની જગ્યાએ 12-અંકનો આધાર નંબર ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ આવું કરતી વખતે બહુ જ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે જો તમે ભૂલથી પણ ખોટો આધાર નંબર આપ્યો તો તમારે 10,000 રૂપિયાનો ભારે દંડ ભરવો પડી શકે છે.ફાઈનાન્સ બિલ 2019માં રજૂ કરાયેલા ઈન્કમ ટેક્સ એક્ટ 1961માં નવા સુધારામાં પાનની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરવાની મંજૂરી સાથે ખોટો આધાર નંબર ઉપયોગ કરવા પર 10,000 રૂપિયા દંડની જોગવાઈ પણ છે.
આધાર નંબરનો ઉપયોગ કરતી વખતે રાખો ધ્યાન
ખોટો આધાર નંબર આપવા પર ભરવો પડશે દંડ
દંડનો નવો નિયમ ત્યારે જ લાગૂ થશે જ્યારે તમે પાનની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરી રહ્યા છો અને જ્યાં ઈન્કમ ટેક્સ એક્ટના નિયમો મુજબ, પાન નંબર આપવો ફરજિયાત છે. ઉદાહરણ તરીકે, ઈન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવા, બેન્ક ખાતું ખોલાવવા, ડીમેટ ખાતું ખોલાવવા અને 50 હજારથી વધુના મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડ્સ ખરીદવા.
આધારના નવા નિયમ
જોકે આધાર યૂનિક આઈડેન્ટિટી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે, પરંતુ દંડ UIDAI દ્વારા નહીં આવકવેરા વિભાગ દ્વારા વસૂલ કરવામાં આવે છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 272બી મુજબ, જો કરદાતાઓ પાન નંબરની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો આવકવેરા વિભાગ દંડ વસૂલશે. દરેક ડિફોલ્ટ માટે દંડની રકમ 10,000 રૂપિયા હશે. અગાઉ, દંડ ફક્ત પાન સુધી મર્યાદિત હતો, પરંતુ સપ્ટેમ્બરમાં જ્યારે પાન-આધાર ઈન્ટરચેન્જેબિલિટીની જોગવાઈ આવી ત્યારે તે આધાર માટે પણ લાગુ થઈ ગઈ.
કઇ પરિસ્થિતિઓમાં લાગશે દંડ
જો તમે પાનની જગ્યાએ ખોટો આધાર નંબર આપો છો
જો તમે કોઈ ખાસ ટ્રાન્ઝેક્શનમાં પાન અથવા આધાર નંબર આપવામાં નિષ્ફળ રહો છો
માત્ર આધાર નંબર આપવો જ પૂરતું નથી, તમારે બાયોમેટ્રિક આઈડેન્ટિટીનું પણ ઓથેન્ટિકેશન કરાવવું પડશે અને જો તમે ફેલ થાય તો તમારે દંડ ચૂકવવો પડશે.
નિયમ મુજબ, પાન અથવા આધાર નંબર યોગ્ય રીતે આપ્યો નહીં હોય અને તેને ઓથેન્ટિકેટ નહીં કર્યો હો તો બેંકો, નાણાકીય સંસ્થાઓ વગેરે પાસેથી પણ દંડ વસૂલાશે. સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખવું કે જો તમે બે અલગ ફોર્મ્સમાં ખોટો આધાર નંબર આપો છો તો તમારે દરેક માટે 10-10 હજાર એમ 20 હજાર દંડ ચૂકવવો પડશે. જેથી ફોર્મ ભરતી વખતે સાવચેત રહેવું.