મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારના સભ્ય અને શિવસેનાથી છેડો ફાડી ચુકેલા મનસે પાર્ટીના વડા રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં દારૂની દુકાનો ખોલવાની તરફેણ કરી હતી અને કહ્યું હતું કે આ દુકાનો ખોલીને સરકારે તેમની ટેક્સની આવક વધારવી જોઈએ. શિવસેનાએ મનસેના વડા રાજ ઠાકરેની આકરી ટીકા કરીને તેમની મજાક ઉડાવી હતી.
લોકડાઉનમાં ફક્ત દારૂની દુકાનો જ નહીં દારૂ બનાવતી ફેક્ટરીઓ પણ બંધ છે: શિવસેના
શું રાજ સરકારની આવક વધારવા માટે આ સૂચન આપે છે કે પછી તેમને દારૂડિયાઓની ચિંતા સતાવે છે?: શિવસેનાનો વળતો પ્રહાર
આ મુદ્દે શિવસેનાએ રાજ ઠાકરેને વળતો જવાબ આપતા કહ્યું હતું કે રાજને ખબર હોવી જોઈએ કે અત્યારે લોકડાઉનમાં ફક્ત દારૂની દુકાનો જ નહીં દારૂ બનાવતી ફેક્ટરીઓ પણ બંધ છે. શિવસેનાએ તેમની મુખપત્રિકા સામનામાં આ મુદ્દે લખ્યું હતું કે ફક્ત દુકાનો ચાલુ કરી દેવાથી સરકારને આવક મળતી નથી. જયારે દારૂની દુકાનદારો ફેક્ટરી પાસેથી દારૂની ખરીદી કરે છે ત્યારે તે ખરીદ વેચાણના એકસાઇઝ અને સેલ્સ ટેક્સની સરકારને આવક થાય છે. અત્યારે આ ફેક્ટરીઓ જ બંધ છે. આ ફેક્ટરી ચાલુ કરવા માટે કામદારોની જરૂર પડે છે.
રાજે ભોજન આપતી સસ્તી દુકાનો ખુલ્લી રાખવાની તરફેણ કરી છે
આ ઉપરાંત જો દુકાનો ફરી ચાલુ થશે તો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું પણ અશક્ય છે. નોંધનીય છે કે રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર CMOને ગુરુવારે કહ્યું હતું કે દારૂની દુકાનો ખોલાવવાનો અર્થ એ નથી કે દારૂડિયાઓની જરૂરિયાત સંતોષવી પણ એનો અર્થ એ છે કે સરકારની આવકમાં આ કઠિન સમયગાળામાં વધારો થાય તેવો પ્રયત્ન કરવો. આ ઉપરાંત તેમણે હોટલો અને વીશીઓને પણ આ સમયગાળા દરમિયાન ખુલ્લી રાખવાની તરફેણ કરી હતી અને કહ્યું હતું કે સસ્તામાં ભોજન આપતી આ જગ્યાઓ ઉપર મહારાષ્ટ્રના ઘણા લોકો અવલંબિત છે.
જો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ તેમના આ નિવેદનની ઠેકડી ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમની આ માંગનો અર્થ એવો છે કે તેઓ એમ કહેવા માંગે છે કે ખાવાની જેમ દારૂ પણ એક જીવનજરૂરિયાતની વસ્તુ છે. નાની ભોજનની દુકાનો અને દારૂની દુકાનો સાથે ખોલવાનો અર્થ એવો થાય છે કે લોકો માટે ભાતની થાળી જેટલી અગત્યની છે એટલું જ અગત્યનો દારૂનો ક્વાર્ટર કે દારૂનો પેગ છે. તેમણે એમ પણ કહ્યું કે અત્યારે એ જાણવું જરૂરી છે કે શું રાજ સરકારની આવક વધારવા માટે આ સૂચન આપે છે કે પછી તેમને દારૂડિયાઓની ચિંતા સતાવે છે?
દેવેન્દ્ર ફડણવીસ ઉપર કર્યા પ્રહાર
શિવસેનાએ એમ પણ જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓએ અત્યારે સરકારને તેમની આર્થિક સ્થિતિને કેવી રીતે સુધારવી જોઈએ એ બાબતે સૂચનો આપવા જોઈએ પણ વિપક્ષના નેતા એવું કાંઈ કરી રહ્યા નથી. નોંધનીય છે કે વિપક્ષના નેતા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ ઠાકરેએ ગરીબ અને કમનસીબ લોકોને પડી રહેલી તકલીફો ઉપર પ્રકાશ પાડ્યો છે પરંતુ સરકારે આખી પરિસ્થિતિનો તાગ મેળવીને નિર્ણય લેવાનો હોય છે.