સમગ્ર અમદાવાદ શહેર માટે પીરાણા ડમ્પ સાઇટ માથાનો દુખાવો બની છે. પીરાણા ડમ્પ સાઇટ પર અંદાજે ૮પ લાખ ટન કચરાનો ડુંગર ખડકાયેલો હોઇ તેની દુર્ગંધ છેક વાસણા સુધી પ્રસરી રહી છે.પીરાણા ડમ્પ સાઇટ ગ્યાસપુર સહિતના આસપાસના વિસ્તારના લોકો માટે નર્કાગાર બની હોઇ આ ડમ્પ સાઇટનો એક વર્ષમાં નિકાલ લાવવાની તાકીદ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા સત્તાવાળાઓને કરાઇ છે. દરમ્યાન મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશોએ પીરાણા ડમ્પ સાઇટનો કચરો ટ્રોમેલ મશીનથી દૂર કરાશે તેવી જાહેરાત કરી છે.
આ દરમ્યાન તંત્ર દ્વારા છેલ્લે કચરાના નિકાલ માટે બાયો માઇનિંગ પદ્ધતિ પર અજમાઈશ થઇ રહી છે. આ પદ્ધતિ મુજબ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક, કપડા, ગાભા વગેરે વેસ્ટ મટિરિયલ છૂટું પાડી તેમાંથી સિમેન્ટ, પેવર બ્લોક વગેરે બાય પ્રોડકટ ઉત્પન્ન કરાય છે. જ્યારે બાકી વધતો માટી જેવો કચરો પુરાણનાં કામમાં ઉપયોગમાં લેવાય છે.
બાયો માઇનિંગ પદ્ધતિ માટે તંત્રએ પ્રારંભમાં ત્રણ ટ્રોમેલ મશીન ગોઠવ્યાં હતાં. આ મશીનથી દરરોજ ૯૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ થતો હતો. જેમાં સફળતા મળતા સત્તાવાળાઓએ ટેન્ડર બહાર પાડી વધુને વધુ કંપનીઓને બોલાવી વધુને વધુ ટ્રોમેલ મશીન મેળવવાની દિશામાં પ્રયાસ કર્યા હતા. જે મુજબ ૧૧ કંપનીએ કામ કરવામાં રસ દર્શાવતા તંત્રએ પહેલી પાંચ કંપનીને કામગીરી સોંપી હોઇ હાલમાં કુલ નવ ટ્રોમેલ મશીન દ્વારા રોજ ર૭૦૦ મેટ્રિક ટન કચરાનો નીકાલ કરાતો હોવાનો તંત્રનો દાવો છે.
મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વડા હર્ષદ સોલંકીએ એવો દાવો કર્યો છે કે, બાયો માઇનિંગ પદ્ધતિ હેઠળ ૪૦ ટ્રોમેલ મશીનની વ્યવસ્થા ગોઠવીને રોજનો ૧ર હજાર મેટ્રિક ટન કચરો અને મહિનાનો ૩.૬૦ લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ થાય તે દિશામાં કવાયત આરંભાઇ હોઇ ચોમાસા બાદ આ દિશામાં વધુ આગળ ધપાશે અને બધું સમુસૂતરું પાર ઊતરે તો એક વર્ષમાં પીરાણા ડમ્પ સાઇટના કચરાનો નિકાલ થઇ શકશે.