શિયાળા દરમિયાન ફક્ત ગરમ કપડાં જ પહેરવાની જરૂર નથી હોતી. ખોરાકમાં બદલાવ અને ગરમી આપતા ખોરાક ખાવા પણ જરૂરી હોય છે. હવે શિયાળાએ જોર પકડ્યું છે અને ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. એવામાં જો તમારે બીમારીઓથી બચવું હોય અને શરીરને આંતરિક રીતે ગરમ રાખવું હોય તો આજે અમે તમને કેટલાક સુપરફૂડ વિશે જણાવીશું. જે ઠંડીમાં રોજ ખાવા જોઈએ. શિયાળામાં શરીરનું તાપમાન સામાન્ય રાખવા માટે વધુ કેલેરી ખર્ચ કરવી પડે છે. પરિણામે આપણને વધુ ભૂખ લાગે છે. ભૂખ લાગે ત્યારે ગમે તે આચરકૂચર ખાવાને બદલે જો થોડી કાળજી રાખવામાં આવે તો શરીરને તંદુરસ્ત બનાવી શકશો. જેથી શિયાળામાં એવા હેલ્ધી ખોરાક ખાવા જોઈએ જેમાંથી આપણને ભરપૂર માત્રા પોષક તત્વો એન્ટીઓક્સીડેન્ટ અને ઈમ્યૂન બૂસ્ટિંગ પાવર મળી રહે જેની ઠંડા વાતાવરણમાં આપણા શરીરને વધારે જરૂર પડે છે.
હળદર:
જો તમે રોજ દૂધ પીતાં હોવ તો શિયાળામાં નવશેકા દૂધમાં ચપટી હળદર નાખીને તેનું સેવન કરવું. આ ન માત્ર તમારા શરીરને આંતરિક ગરમી આપશે પરંતુ શરીરમાં થતી બળતરાને પણ દૂર કરશે.
ગોળ:
શિયાળામાં ગોળનું ખાસ સેવન કરવામાં આવે છે. ઘણા વાનગીઓમાં શિયાળુપાકમાં પણ તેનો ઉપયોગ થાય છે. ગોળ શિયાળામાં શરીરને ગરમી આપે છે. તે ખાંડની તુલનામાં વધારે હેલ્ધી હોય છે. તેમાં ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ જેમ કે ફોસ્ફરસ આયર્ન મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. જે નેચરલી કફ કોલ્ડ માઈગ્રેન અસ્થમા ચિંતા અને પાચનતંત્રના રોગો સામે રક્ષણ કરે છે. શિયાળામાં રોજ ગોળનું સેવન કરવાથી શરીરમાં આંતરિક ગરમી પેદા થાય છે.
કેસર:
કેસરમાં અઢળક ગુણો રહેલાં છે પરંતુ કેસર મોંઘુ હોવાને કારણે મોટાભાગના લોકો તેનું સેવન કરતાં નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે કેસર બહુ જ ગુણકારી છે ખાસ કરીને શિયાળામાં. પ્રાચીન સમયથી જ બ્યુટી અને હેલ્થ માટે કેસરનો ઉપયોગ થતો આવ્યો છે. જેથી શિયાળામાં રોજ દૂધમાં કેસર નાખીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ તમારી બ્યુટી ક્રિમમાં કેસરને મિક્ષ કરીને લગાવવાથી ચહેરો ક્લિન ડાઘા વિનાનો અને તેજસ્વી બને છે. આ સિવાય શરીરમાં ગરમાવો રહે તે માટે રોજ રાતે સૂતા પહેલાં બદામ કેસરવાળું નવશેકું દૂધ પીવું.
આમળા:
આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આમળા લીવર પાચનતંત્ર સ્કિન વાળ અને કોલેસ્ટ્રોલ એસિડિટી અને બ્લડશુગરને પણ કંટ્રોલ કરે છે. શિયાળામાં ખવાતાં ચ્યવનપ્રાશમાં સૌથી વધુ પ્રમાણમાં આમળા હોય છે. આ સિવાય શિયાળામાં આમળાની ચટની આમળાનો પાઉડર અને બાફેલાં આમળા ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે અને ઈમ્યૂનિટી મજબૂત થાય છે.
મધ:
કફ અને કોલ્ડમાં વપરાતી ઔષધીઓમાં મધનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. મધ શરીરને ગરમી આપે છે. જેથી શિયાળામાં તેનું સેવન ચોક્કસ કરવું જોઈએ. મધમાં થોડા પ્રમાણમાં એન્ટિજેન્સ હોય છે જે ઈમ્યૂનને સારી રાખવામાં મદદ કરે છે. એમાંય ડાયટ કરતાં લોકો માટે મધ શરીરમાં રહેલો મેદ ઓછો કરે છે.
તુલસી:
તુલસીમાં વિટામિન એ સી કેલ્શિયમ ઝિંક અને આયર્ન હોય છે તુલસી આપણા શરીરને કોલ્ડને કારણે થતાં રોગો જેમ કે કફ સાઈનસ નિમોનિયા અને શ્વાસ સંબંધી રોગોથી બચાવે છે. તેમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીમલેરિયા પ્રોપર્ટી પણ હોય છે. જેથી રોજ સવારે ખાલી પેટે તુલસીના પાન મરી અને મધ મિક્ષ કરીને લેવાથી કફ સંબંધી રોગો દૂર થાય છે અને શરીરમાં ગરમાવો રહે છે.
આદુ:
ભારતીય રસોડામાં રહેલું આદું મેડિકલી ચમત્કારી ઔષધી માનવામાં આવે છે. તેમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. જો થોડી માત્રામાં પણ આદુનું સેવન શિયાળામાં રોજ કરવામાં આવે તો શરીરને ગરમાવો આપવાની સાથે-સાથે અલ્સર તાવ કોમન કોલ્ડ કફ અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે.