વર્ષ દરમિયાન માંડ 2520 સેમ્પલ લેવાય છે એટલે કે દરરોજનાં સાત સેમ્પલ થાય છેઃ આઠ વર્ષમાં 20,167 સેમ્પલ લેવાયાં, જેમાં માત્ર 63 અનસેફ નીકળ્યાંઃ દર 1000 સેમ્પલે માત્ર ત્રણ સેમ્પલમાં ભેળસેળ પકડાઈ.
અમદાવાદમાં ભેળસેળખોરોને છૂટોદોર અપાયો હોય તેવો માહોલ
તહેવારોમાં જ મનપા કરે છે ચેકિંગ
ફૂડ સેમ્પલના મોટા આંકડા દર્શાવે છે કે તપાસમાં મોટી માછલી ફસાતી નથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાનપદે હતા તે સમયે તેમણે અમદાવાદમાં ભેળસેળખોરો સામે કડક હાથે કામ લેવાની તંત્રને તાકીદ કરી હતી. શહેરીજનોને આરોગ્યને લાભપ્રદ ખાણી-પીણીની વસ્તુઓ મળે તે માટે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ ભાર મૂક્યો હતો. ભાજપ પક્ષની બેઠકોમાં કોર્પોરેટરો ઘરેથી ટિફિન લઇને આવે તેવી ટિફિન બેઠકની કલ્પના પણ નરેન્દ્ર મોદીની હતી, જોકે અમદાવાદમાં કમસે કમ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળને અટકાવવાના મામલે સદંતર ઊંધું ચિત્ર ઉપસ્યું છે. આપણું શહેર હેરિટેજ સિટી, મેગા સિટી, સ્માર્ટ સિટી, કલીન સિટી જેવા વિવિધ ખિતાબ ધરાવતું થયું છે.
ભેળસેળખોરોને છૂટોદોર અપાયો હોય તેવો માહોલ
કમનસીબે અમદાવાદ હાઇજેનિક ફૂડ સિટી બન્યું નથી. શહેરમાં જાણે કે ભેળસેળખોરોને છૂટોદોર અપાયો હોય તેવો માહોલ છે. મ્યુનિ. તંત્રની ફૂડ સેમ્પલ લેવાની કામગીરી દિવસે ને દિવસે 'નાટકરૂપ' બનતી જાય છે, પરિણામે ભેળસેળ અટકતી નથી અને ભેળસેળખોર કાયદાની બીક ન હોઇ બેફામ બન્યા છે. દરરોજનાં દસ સેમ્પલ લેવાતાં ન હોઇ આ સિસ્ટમ અર્થહીન બની છે.
તહેવારોમાં જ મનપા કરે છે ચેકિંગ
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરભરમાં ખાદ્યપદાર્થોના ધંધાર્થીઓ, હોટલ-રેસ્ટોરાં વગેરેમાં દરોડા પાડીને વિભિન્ન ફૂડ સેમ્પલ લેવાની કામગીરી કરાય છે. આ પ્રકારનાં ફૂડ સેમ્પલ દિવાળી, દશેરા, હોળી- ધુળેટી, ઉતરાણ જેવા તહેવારોના દિવસોમાં પણ લેવાય છે. ગરમીની સિઝનમાં ઠેરઠેર મંડાતી 'કેરીના રસ'ની હાટડીઓમાં વેચાતો કેરીનો રસ તેમજ ડેરીમાં વેચાતો કેરીનો રસ, કેરી મિલ્ક શેક, આઇસક્રીમની બનાવટની 'શુદ્ધતા તપાસવા ફૂડ સેમ્પલ' એકત્ર કરાય છે. તંત્ર દ્વારા લેવાતાં ફૂડ સેમ્પલને તપાસ માટે નવરંગપુરા સ્થિત મ્યુનિ. લેબમાં મોકલાય છે, પરંતુ ૧૪ દિવસે આવતો રિપોર્ટ સાવ કંટાળજનક હોય છે. એક તો હેલ્થ વિભાગ જાણીતા વેપારીની દુકાન કે ફેકટરીમાં દરોડા પાડીને ફૂડ સેમ્પલ લેતો નથી.
ફૂડ સેમ્પલના મોટા આંકડા દર્શાવે છે કે તપાસમાં મોટી માછલી ફસાતી નથી
તેના બદલે નાના વેપારીઓના ત્યાં ત્રાટકીને વર્ષ દરમિયાનનાં ફૂડ સેમ્પલના મોટા આંકડા દર્શાવે છે, જેના કારણે ફૂડ સેમ્પલની લેબ તપાસની જાળમાં મોટી માછલી (જાણીતા વેપારી) પકડાતા નથી, પરંતુ નાની માછલીનાં સેમ્પલ કાં તો મિસ બ્રાન્ડેડ, સબ સ્ટાન્ડર્ડ કે અનસેફ જાહેર થાય છે. અનેક વાર તંત્ર
ઇરાદાપૂર્વક પોતાની જાળમાં નાની માછલીને પકડતું હોવાના આક્ષેપ ઊઠ્યા છે. દશેરાના દિવસે કરોડો રૂપિયાનાં ફાફડા-જલેબી આરોગી લેવાયાં હોય ને ત્યારબાદ જે ેતે સેમ્પલના રિપોર્ટ આવે તો શું લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતાં નથી તેવો પ્રશ્ન મ્યુનિ. વર્તુળોમાં પુછાઇ રહ્યો છે.
સેમ્પલ લેવામાં ગોઠવણ કે સેટિંગ હોવાની ચર્ચા
જે રીતે સેમ્પલ લેવામાં ગોઠવણ કે સેટિંગ થાય છે તે રીતે લેબ રિપોર્ટમાં પણ જે તે સેમ્પલને ફેલ જાહેર કરવામાં સેટિંગ થતું હોવાની પણ ચર્ચા છે એટલે ભેળસેળખોરોના ઇશારે સેમ્પલ લેવાય છે અને લેવાયેલાં સેમ્પલની લેબ તપાસ થાય છે, પરિણામે 'અનસેફ' રિપોર્ટ એટલે કે ખાદ્યપદાર્થમાં 'ભેળસેળ' પકડાતી નથી. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા છેલ્લાં આઠ વર્ષમાં લેવાયેલાં સેમ્પલની સંખ્યા અને સેમ્પલનો અનસેફ રિપોર્ટ ભારે ચોંકાવનારો છે. છેલ્લાં આઠ વર્ષમાં તંત્રે કુલ ર૦,૧૬૭ સેમ્પલ લઇ મ્યુનિ. લેબમાં મોકલ્યાં હતાં એટલે કે એક વર્ષમાં સરેરાશ ર,પર૦ સેમ્પલ લેવાયાં હતાં. બીજા અર્થમાં દરરોજનાં ફક્ત સાત સેમ્પલ લેવાયાં હતાં.
આઠ વર્ષના કુલ ર૦,૧૬૭ સેમ્પલ પૈકી ફક્ત અને ફક્ત ૬૩ સેમ્પલ અનસેફ જાહેર થયાં
તહેવારોમાં સેમ્પલ લેવાની વિશેષ ઝુંબેશ ચલાવનાર મ્યુનિ. હેલ્થ વિભાગ દૈનિક દશ સેમ્પલ પણ લેતું નથી તે ખુદ તંત્રના સત્તાવાર આંકડાથી પુરવાર થઇ રહ્યું છે. જે રીતે ફૂડ સેમ્પલ લેવાની કામગીરી અત્યંત કંગાળ છે તે રીતે ફૂડ સેમ્પલનો રિપોર્ટ પણ નાટકીય પુરવાર થયો છે, કેમ કે આઠ વર્ષના કુલ ર૦,૧૬૭ સેમ્પલ પૈકી ફક્ત અને ફક્ત ૬૩ સેમ્પલ અનસેફ જાહેર થયાં છે. જાણકાર સૂત્રો કહે છે, લેબ રિપોર્ટ મુજબ કુલ દશ સેમ્પલ અનસેફ વત્તા મિસ બ્રાન્ડેડ, સાત સેમ્પલ અનસેફ વત્તા સબ સ્ટાન્ડર્ડ અને ચાર સેમ્પલ અનસેફ વત્તા મિસ બ્રાન્ડેડ વત્તા સબ સ્ટાન્ડર્ડ નીકળ્યાં છે, જ્યારે ફક્ત ૪પ સેમ્પલ અનસેફ છે. આવા સંજોગોમાં શહેરમાં ભેળસેળખોરો બેફામ બને તેમાં કોઇ નવાઇ રહી નથી. આ તો ઠીક, શહેરીજનોને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તેવું એક સમયના મણિનગરના ધારાસભ્ય અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન રોળાઇ જાય તેમાં પણ કોઇ નવાઇ રહી નથી.