અત્યાર સુધી તમે નાણાં ઉપાડવાના ATM જોયા હશે, પરંતુ ડાયમન્ડ સિટી સુરતમાં એક અનોખું ATM ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે આ એટીએમમાંથી પૈસા નહીં પરંતુ ભોજન ઉપલબ્ધ થશે અને અને અહીંથી ગરીબ લોકો ગમે ત્યારે ભોજન મેળવી શકશે.
સામાન્ય રીતે એટીએમની વાત આવે ત્યારે આપણને બેંકમાં રહેલા એટીએમ યાદ આવે છે કે જ્યાંથી લોકો ગમે ત્યારે પૈસા ઉપાડી શકે છે અથવા ભરી શકે છે. પરંતુ સુરતની એક યુવતીએ એક અનોખું એટીએમ ઇન્સ્ટોલ કર્યું છે. આ એટીએમ ગરીબો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે આ એટીએમમાંથી પૈસા નહીં પરંતુ ગરીબોને ભોજન મળી રહેશે. તમને જાણીને તમને નવાઈ લાગી હશે કે એટીએમમાંથી ભોજન? પણ આ અનોખો પ્રયાસ સુરતની એક યુવતી દ્વારા કરવામાં આવ્યો છે.
24 કલાક જમાવાનું આપે છે ATM
ઉલ્લેખનીય છે કે, સુરતમાં રહેતી પ્રિયંકા જૈન રાવલે સુરતના રેલવે સ્ટેશન પર એક એટીએમ ઇન્સ્ટોલ કર્યું છે. આ એટીએમની વિશેષતાની વાત કરીએ તો આ એટીએમમાંથી કોઈપણ ગરીબ વ્યક્તિ વિના મૂલ્યે ભોજન લઈને જમી શકે છે અને લોકોના ઘરે જો વધારે ભોજન હોય તો તેઓ અહીં આવી આ એટીએમમાં ગરીબો માટે મુકી શકે છે. આ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે.
પ્રિયંકાએ ગરીબ લોકો માટે કાંઇક કરવાનું નક્કી કર્યું હતું અને આખરે દોઢ વર્ષની મહેનત બાદ તેણે લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ સાથે મળી આ પ્રોજેક્ટ તૈયાર કર્યો અને તેને `સ્ટોપ હંગર' નામ આપવામાં આવ્યું હતું પ્રિયંકા અને તેની ટીમે સુરતમાં હોટલ માલિકોની મુલાકાત કરી આ પ્રોજેક્ટ વિશે માહિતગાર કર્યા હતા અને આખરે અથાગ પ્રયત્નો બાદ સુરતમાં પહેલું એટીએમ સુરતના રેલ્વે સ્ટેશન પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
લોકો વધારાના ખોરાકને જમા કરાવી રહ્યા છે ATM
આપને જણાવી દઇએ કે, હાલ આ અનોખા એટીએમમાંથી અનેક જરૂરતમંદ લોકો પોતાના માટે ભોજન લઈ રહ્યા છે. આ ફૂડ એટીએમ અને ગરીબો માટે ક્ષુધા તૃપ્ત કરનારું બન્યું છે. જ્યાં આ એટીએમ દ્વારા એક તરફ ગરીબોને ભોજન મળી રહ્યું છે તો બીજી તરફ અનેક લોકો આ એટીએમમાં ભોજન જમા કરાવી રહ્યા છે અને આ પુણ્યકામના સહભાગી બની રહ્યા છે.
પ્રિયંકાએ અને તેની ટીમ દ્વારા અત્યાર સુધી સુરતમાં રેલ્વે સ્ટેશન પર એક એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. હોટલમાં આવતા લોકો પણ ભોજન વ્યર્થ ન જાય તે માટેની તકેદારી રાખી રહ્યા છે. આ સાથે જ હોટલમાંથી પણ ફૂડ વેસ્ટ ન જાય તે હેતુથી અહીંનું ભોજન પણ આ એટીએમમાં મૂકવામાં આવે છે અને આ સહયોગમાં સુરત હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન પણ જોડાયું છે.
સુરતમાં મુકાશે 10 ATM
આગામી સમયમાં સુરતના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલા એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને તેની પાછળનો હેતુ માત્ર એક જ છે કે સુરતમાં શહેરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે. આ સાથે જ લોકોને અપીલ પણ કરી છે કે જો લોકોના ઘરે વધારે ભોજન હોય તો તેને ફેંકવાની બદલે આ એટીએમમાં આવી મૂકી શકે છે જેથી ગરીબ લોકો વિનામુલ્યે તે ભોજન કરી શકે.
કોઇની આંતરડી ઠારવાનું કામ
હાલ એક એટીએમ ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ 50 હજારથી 80 હજાર સુધીનો આવે છે આ ઉપરાંત લાઈટ બીલ અને તેનો મેઈન્ટેનન્સ ખર્ચ પણ અગલથી આવે છે. પરંતુ એક નાનકડા પ્રયાસથી જો મોટો બદલાવ આવતો હોય અને કોઈ ગરીબોની આંતરડી ઠરતી હોય તો આ આધુનિક અન્નપૂર્ણા અને તેની ટીમ કંઈ પણ કરવા તૈયાર છે. ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે પહેલું કદમ હવે આગળ માંડી જ દીધું છે તો પછી આ ટીમના પ્રયાસથી જનસેવા એજ પ્રભુસેવા એ વાત સાર્થક થઈને જ રહેવાની છે. આધુનિક અન્નપૂર્ણાને તેમના આ સ્તુત્ય પ્રયાસ બદલ વીટીવી ખોબલે ખોબલે અભિનંદન પાઠવે છે.