રાજકોટના રૈયા રોડ પર 20 જેટલાં ધંધાર્થીઓને આરોગ્ય વિભાગે દરોડા પાડતા અખાદ્ય ચોકલેટ અને સુકામેવાના જથ્થાનો નાશ કરાયો છે.
રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગનું ચેકીંગ
અખાદ્ય ચોકલેટ અને સુકામેવાના જથ્થાનો નાશ કરાયો
20 જેટલાં ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ
રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 20 જેટલાં ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાંથી વાસી અને અખાદ્ય સૂકોમેવો ઝડપાયો છે. આરોગ્ય વિભાગની ટીમે અખાદ્ય ચોકલેટ અને સુકામેવાના જથ્થાનો નાશ કર્યો છે. કિરણ ડ્રાયફ્રુટમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો છે. જો કે, આરોગ્ય વિભાગે એકાએક સપાટો બોલાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
રૈયા રોડ પર આવેલ કિરણ ડ્રાયફ્રુટમાં ચકાસણી કરતા એકસપાયર થયેલા વાસી ડ્રાયફ્રુટ ચેવડો અઢી કિલો, ચોકલેટ કાજુ અને ચોકલેટ બદામ અઢી કિલો, જેલી એક કિલો મળી 6 કિલો માલનો નાશ કરી યોગ્ય સ્ટોરેજ માટે નોટીસ અપાઇ હતી. જ્યારે નાણાવટી ચોકમાં જાસલ બિલ્ડીંગ પાછળ આવેલ રૂદ્રમ બેકરીમાં તપાસ કરતા ત્યાંથી 3 કિલો વાસી પફ મળી આવ્યા હતા. જેથી તેનો જથ્થો પણ નાશ કરીને હાઇજિનિક કંડિશન જાળવવા નોટીસ અપાઇ હતી. વધુમાં ગુંદાવાડી શાક માર્કેટ રોડ પર આવેલ ભાગ્યોદય અનાજ ભંડારમાંથી વિદુર ગાયનું ઘી અને સિંધી કોલોની મેઇન રોડ પર આવેલ જલારામ બેકર્સમાંથી રાજભોગ કુકીઝનો નમૂનો લઇને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
અગાઉ સહકાર નગરમાં શ્રીરામ કૃપા ગોળવાળાને ત્યાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી
ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો પહેલાં પણ રાજકોટમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતાં. જેમાં સહકાર નગરમાં શ્રીરામ કૃપા ગોળવાળાને ત્યાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અખાદ્ય સામગ્રી મામલે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સહકાર નગરમાં શ્રીરામ કૃપા ગોળવાળાને ત્યાં તપાસ હાથ ધરતા વાસી માવો, રબડી અને અખાદ્ય સૂકોમેવો તપાસમાં મળી આવ્યાં. 10 કિલો અખાદ્ય સામગ્રીનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો.