ગુજરાતના દરિયા કિનારા પર આગાહીની અસર નહિવત, છતાંય તૈયારીના ભાગ રૂપે APMCએ ખેડૂતોને જણસી ન લાવવા સૂચન કર્યું
રાજ્યમાં ફરી વરસાદની આગાહી
આગામી દિવસોમાં પડી શકે છે ભારે વરસાદ
વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદની આગાહીને લઇ તંત્ર અલર્ટ થઇ ગયું છે...વરસાદની આગાહીના પગલે NDRFની ટીમો સજ્જ કરવામાં આવી છે. વડોદરાના જરોદની બટાલિયનની 6 ટીમો રવાના કરવામાં આવી છે. એક ટીમ વલસાડ અને એક ટીમ અમરેલી મોકલવામાં આવી છે...રાહત કમિશનરે ડિમાન્ડ કરતા ટીમો રવાના કરવામાં આવી છે.
આ જિલ્લાઑના APMC સતર્ક
રાજ્યમાં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદની અસર સમગ્ર રાજ્યના શહેરો સાથે રાજકોટ, જામનગર અને અમરેલીમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. આ માવઠાની અસરને લઇને માર્કેટિંગ યાર્ડ હરકતમાં આવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડે ખુલ્લામાં પડેલી 30 હજાર ગુણ મગફળી ઢાંકવાની કામગીરી કરી છે. ત્યારે જામનગર APMCમાં હજુ પણ ખુલ્લામાં 5 હજાર ઉપરાંત મગફળીની ગુણ જોવા મળી છે. એટલામાં ઓછું હોય તેમ ટેકાના ભાવની મગફળી ખરીદ પ્રક્રિયા પણ ચાલુ છે. અને ચાલુ રહેશે એમ સૂત્રો કહે છે. ત્યારે જો માવઠું પડે અને ભારે નુકશાની થવાની શક્યતા છે. તો આ તરફ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સૂચન કર્યુ છે. અને તેમણે જણાવ્યુ હતું કે કપાસ અને મગફળીના પાકને સલામત સ્થળે રાખવામાં આવે. ખુલ્લામાં રાખેલા પાકને ઢાંકી સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે. જેથી માવઠાથી પાકને બચાવી શકાય.
માર્કેટયાર્ડમાં મગફળી ન લાવવા સૂચન
જૂનાગઢ, ભાવનગર અને સાબરકાંઠા માર્કેટયાર્ડમાં આવી રહેલી જણસી પર અસર થઇ છે. મગફળી, સોયાબીન અને ધાણાની આવક બંધ કરવામાં આવી છે. અને જ્યાં સુધી જાહેરાત ન કરાઈ ત્યાં સુધી આવક બંધ રહેશે. તો આ તરફ ભાવનગર યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક સપ્તાહ સુધી મગફળી લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભાવનગર યાર્ડમાં હાલ મગફળીની 40 હજારથી વધુ ગુણ છે. વરસાદ આવે તો યાર્ડમાં રહેલો માલ પલળી જવાની ભય રહેલો છે. તો હિંમતનગર યાર્ડમાં પણ મગફળીની આવક વધી છે. 400 થી 500 ટ્રેકટર સાથે ખેડૂતો યાર્ડમાં પહોચ્યા હતાં. અને મગફળી પલળે નહીં તે માટે ખેડૂતોએ તૈયારી રાખી હતી.
ગુજરાતના દરિયાઈ સીમા પર વાતાવરણ શાંત
સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દિવસ દરમિયાન સુરતમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું. સાથે જ પવન ફૂંકાવાની પણ શરૂઆત થઈ હતી. તો બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં પણ સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું. જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયો હાલ શાંત જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદની શક્યતા વચ્ચે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો. પોરબંદરના દરિયા કિનારા નજીક પણ હવામાન વિભાગની આગાહીની હાલ અસર નહી જોવા મળી નથી.
હવામાન વિભાગે શું કરી આગાહી
30 સપ્ટેમ્બર સાંજથી વાતાવરણમાં પલટો આવશે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠું થઈ શકે છે. 30થી 2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેશે. ખેડૂતો માટે પાક અંગે હવામાને માર્ગદર્શિક જાહેર કરી છે.માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.. હવામાન વિભાગના મતે અમદાવાદ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, તાપી અને આહવામાં વરસાદ વરસી શકે છે. તો આ તરફ મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદ આવે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહીની શક્યાત જોવા મળી રહી છે. ત્યારે આ અંગે શાસ્ત્રીય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં હવાનુ દબાણ સર્જાશે. આથી 30 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 1 અને 2 ડિસેમ્બરે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહેસાણા, બનાસાકાંઠામાં વરસાદની શક્યતા છે. તેમજ સમી, હારીજ, કડી, બેચરાજીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે. કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આમ આ માવઠુ ભારે કમોસમી વરસાદ વરસાવી શકે છે.