ડુંગળીના ઘટતા જતા ભાવે ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યા છે ત્યારે હવે હોળીના પર્વ નિમિત્તે સરકારે ડુંગરી ઉત્પાદન કરતા ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે. ડુંગળીના ઘટતા જતા ભાવના અહેવાલને પગલે સરકારે એક્શનમાં આવી અને પોતાની એજન્સીઓને એક સાથે લાલ ડુંગળીની ખરીદી અને વપરાશ કેન્દ્ર પર ડુંગળી મોકલવા અને વેચવા માટે બજારમાં હસ્તક્ષેપ કરી ખેડૂતો પાસેથી માલ ખરીદવા આદેશ કર્યા છે. સરકાર દ્વારા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF)ને આદેશ કરી ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા સૂચના આપી દીધી છે.
4 000 ટન ડુંગળીની ખરીદી કરાઈ
સમાચાર એજન્સી દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવના પડકાર ને પહોંચી વળવા સરકાર પાસે ભાવ સરળ રાખવા સપલાય ચેન માટે બફર તરીકે ડુંગળીની ખરીદી અને સંગ્રહ કરવા માટે ભંડોળ છે. આ મામલે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું કે છેલ્લા દસ દિવસની અંદર નાફેદ દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા 900 પ્રતિ 100 કિલોથી વધુના ભાવે લગભગ 4 000 ટન ડુંગળીની ખરીદી કરાઈ છે.
નાફેડ દ્વારા 40 કેન્દ્રો ખોલાયા
નોંધનીય છે કે ડુંગળી માટેના ભારતના સૌથી મોટા બજાર લાસલગાવ મંડીમાં ડુંગળી એક થી બે રૂપિયા કિલોએ વેચાઈ રહી હોવાના એહવાલો મળ્યા હતા. મંત્રાલય જણાવ્યા મુજબ નાફેડ દ્વારા લગભગ 40 કેન્દ્રો ખોલાયા છે જ્યાં ખેડૂતો પોતાનો માલ વહેંચી શકે છે અને તેની ચુકવણી ઓનલાઇન કરવામાં આવશે. ત્યારબાદ સ્ટોકની દિલ્હી, કોલકત્તા, ગોવાહાટી, ભુવનેશ્વર,બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ અને કોચી ખાતે ખસેડવાની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
મહત્વનું છે કે વર્ષ 2022/ 23માં ડુંગળીનું લગભગ ઉત્પાદન 318 લાખ ટન થયું છે. જે ગત વર્ષના ઉત્પાદન 316.98 લાખ ટનને પાર કરી ગયું છે. મોટાભાગના રાજ્યોમાં ડુંગળીના પુષ્કળ ઉત્પાદનને પગલે આ પ્રકારનો ભાવ ઘટાડો નોંધાયો છે.