દેવ ઓરમ કોમ્પ્લેક્સના ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગતાં છેક બેઝમેન્ટથી નવમા માળ સુધીના ઇલેક્ટ્રિક કેબલ બળી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ચાર ફાયર ફાઇટર, ચાર વોટર ટેન્કર અને સ્નોરકેલ મળીને ૧ર વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. દરમ્યાન આ કોમ્પ્લેક્સની ફાયર સેફ્ટી કામ જ કરતી ન હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઇ મધરાતે દેવ ઓરમના ત્રણેય ટાવરને તાળાં મારી દેવાયાં હતાં.
અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં આનંદનગર ચાર રસ્તા પાસેના બહુમાળી દેવ ઓરમ કોમ્પ્લેકસના એ બ્લોકમાં આવેલા ઇલેક્ટ્રિક ડકમાં ઓવરલોડિંગના કારણે અચાનક આગ ફાટી નીકળતાં છેક નવમા માળ સુધીના કેબલ બળી ગયા હતા, જેના કારણે ગાઢ ધુમાડો ફેલાઇ જતાં સમગ્ર કોમ્પ્લેક્સમાં હાહાકાર મચી ગયો હતો. આ આકસ્મિક આગની દુર્ઘટનાના કારણે ત્રણ જણા ગંભીર રીતે દાઝ્યા હતા અને ૧પ જણાને ફાયર બ્રિગેડે અર્ધબેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. દરમ્યાન આ કોમ્પ્લેક્સની ફાયર સેફ્ટી કામ જ કરતી ન હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઇ મધરાતે દેવ ઓરમના ત્રણેય ટાવરને તાળાં મારી દેવાયાં હતાં. હવે આ તાળાં ફાયર સેફ્ટીની એનઓસી મળ્યા બાદ જ ખૂલશે.
દેવ ઓરમ કોમ્પ્લેક્સના ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગતાં છેક બેઝમેન્ટથી નવમા માળ સુધીના ઇલેક્ટ્રિક કેબલ બળી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ચાર ફાયર ફાઇટર, ચાર વોટર ટેન્કર અને સ્નોરકેલ મળીને ૧ર વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર બ્રિગેડની લાંબી જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી, જોકે ધુમાડાના ગોટેગોટા છેક નવમા માળ સુધી પ્રસરી જતાં લોકો એક મીટર દૂર સુધીનું પણ જોઇ શકતા ન હતા. ધુમાડાથી લોકોમાં ભય પ્રસરી ગયો હતો અને ૧પ જણા અર્ધબેભાન હાલતમાં મુકાઇ જતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમને કપડાંની ઝોળી અને સ્ટ્રેચરમાં નાખીને બહાર કઢાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગમાં ફસાયેલા ૧૦૦ લોકોને સહી-સલામત બહાર કાઢ્યા હોવા છતાં બે મહિલા સહિત ત્રણ જણા ગંભીર રીતે દાઝી જતાં તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા.
દરમિયાન દેવ ઓરમ કોમ્પ્લેક્સમાં બીયુ પરમિશન મળ્યા બાદ ઘણાં ફેરફાર કરાયા હતા. તેના કારણે ધુમાડો બહાર નીકળી ન શકે તેવી સ્થિતિ સર્જાઇ હતી તેમજ ફાયર સિસ્ટમ ચાલુ હાલતમાં ન હતી, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહની આગેવાની હેઠળ એસ્ટેટ વિભાગની બે ટીમના કુલ દસ સભ્યોએ ગઇ મધરાતે ર-૩૦ થી ૪-૦૦ વાગ્યા સુધી દેવ ઓરમના એ, બી અને સી એમ ત્રણ ટાવરને સીલ મારવાની કાર્યવાહી કરી હતી.
આ અંગે વધુ માહિતી આપતાં ચૈતન્ય શાહ કહે છે, આ બિલ્ડિંગમાં ૧૦ માળના કુલ ત્રણ ટાવર હોઇ તેમાંની ૪૮ દુકાન અને ર૮૦ ઓફિસ સહિત કુલ ૩ર૮ યુનિટને ફાયર સેફટી એનઓસીના મામલે તાળાં મરાયાં હતાં. હવે આ તાળાં તંત્રની ફાયર સેફટીની એનઓસી મળ્યા બાદ જ ખૂલશે. જ્યારે ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તૂર કહે છે, બિલ્ડિંગના સંચાલકો પાસે ફાયર બ્રિગેડનું એનઓસી સર્ટિફિકેટ હતું, પરંતુ ફાયર સેફ્ટી બંધ હાલતમાં હતી. ફાયર સેફટીના વાલ્વ બંધ હતા. ઇલેક્ટ્રિક પેનલ બંધ હતી. કપ્લીંગ વાલ્વ ચોરાઇ ગયા હતા, જેના કારણે ફાયર સેફટીનો આગ બુઝાવવા માટે ઉપયોગ કરી શકાયો ન હતો.
આ દરમ્યાન ફાયર બ્રિગ્રેડના વડા એમ.એફ. દસ્તૂર વધુમાં કહે છે કે શહેરમાં ૧ર૦૦ જેટલા હાઇરાઇઝ ટાવર છે, જે પૈકી ૬પ૦ કોમર્શિયલ ટાવર હોઇ આજે સવારથી શહેરના તમામ કોમર્શિયલ ટાવરની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે ત્રણ ટીમને કામે લગાડાઇ છે. આ ટીમ દ્વારા જે બિલ્ડિંગમાં ફાયર સેફટી ચાલુ નહીં હોય તે બિલ્ડિંગના સંચાલકોને ૧૦ દિવસમાં ફાયર સેફટી ચાલુ કરી તંત્રની એનઓસી મેળવી લેવાની નોટિસ ફટકારાશે.
મ્યુનિસિપલતંત્રના સત્તાવાળાઓ માટે દેવ ઓરમ કોમ્પ્લેક્સની આગની દુર્ઘટના ખરા અર્થમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી બની છે, કેમ કે અગાઉ તંત્રએ મોટા ઉપાડે શહેરભરનાં તમામ કોમર્શિયલ બિલ્ડિંગની ફાયર સેફટીના સંદર્ભે જે તે બિલ્ડિંગના સંચાલકોને એક મહિનાનો સમય આપવાનું આયોજન કર્યું હતું, જોકે તંત્ર દ્વારા તેના આયોજન પર ઠંડું પાણી રેડીને ફાયર સેફટીના મામલે કડકાઇથી કામ લેવાના બદલે કોમર્શિયલ બિલ્ડિંગના સંચાલકોને ફાયર સેફટીની સમજણ આપવાની નીતિ નક્કી કરાઇ હતી. જો તે વખતે તંત્રએ લાલ આંખ કરી હોત તો આ દુર્ઘટના ટાળી શકાઇ હોત.