નવરાત્રિના પવિત્ર તહેવારમાાં આજે છઠ્ઠા દિવસે આખી દુનિયા માતા કાત્યાયનીની પૂજા કરી રહી છે. માતાનું આ સ્વરૂપ અત્યંત ચમકીલું અને તેજસ્વી છે જેની ચાર ભૂજાઓ છે. માતાની જમણી બાજુનો હાથ અભયમુદ્રામાં તથા નીચેનો હાથ વરમુદ્રામાં છે. જ્યારે ડાબી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે. માતા કાત્યાયનીની સાધનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયમાં ફળની પ્રાપ્તિ થાય છે.
નવરાત્રિના છઠ્ઠા નોરતે કરો માતા કાત્યાયનીની પૂજા
વિવાહ ઉત્સુક કન્યાઓને વિશેષ ફળ આપે છે માતા
આ ખાસ મંત્રોના ઉચ્ચારણથી આજે મળે છે વિશેષ ફળ
માતાનો વિશેષ મહિમા
નવરાત્રિના પર્વની ષષ્ઠ તિથિનો દિવસ વિશેષ રીતે વિવાહ યોગ્ય કન્યાઓ માટે અમોઘ ફળદાયી છે. પૂજાથી માતાને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળની પૂર્તિ શક્ય બને છે. માન્યતાઓ મુજબ વિવાહ યોગ્ય કન્યાઓ માતા કાત્યાયનીનું પૂજન કરી શકે છે. સહજ શ્રૃંગાર સામગ્રી તથા પૂજન સામગ્રીથી માતાનું પૂજન ફળદાયી રહે છે.
માતા કાત્યાયનીની પૂજામાં લાલ કે પીળા વસ્ત્ર ધારણ કરીને તેમનું પૂજન કરવું જોઈએ. માતાને પીળા ફૂલ અને પીળું નૈવેધ અર્પણ કરવું જોઈએ. જ્યારે પૂજાની થાળી તૈયાર કરો છો ત્યારે પૂજાની થાળીમાં કંકુ, અક્ષત, હળદર, મહેંદી સહિત તમામ પૂજન સામગ્રી તથા વસ્ત્ર સમર્પિત કરો. દેવી માને હળદરની 3 ગાંઠ અર્પણ કરો અને ત્યારબાદ તેને તમારી પાસે રાખો. માતાને મધ ખુબ પ્રિય છે આથી તે સમર્પિત કરવું જોઈએ.
દેવીના આ સ્વરૂપ સાથે છે ખાસ પૌરાણિક માન્યતા
મહર્ષિ કાત્યાયને ત્રિદેવોને પોતાની તપસ્યાથી ખુશ કરીને માતાને પોતાની પુત્રી સ્વરૂપે માંગ્યા હતાં. ત્યારબાદ માતા દુર્ગાએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો, આથી તેમનું નામ દેવી કાત્યાયની પડ્યું. માતા કાત્યાયનીની ઉપાસનાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેયમાં ફળની પ્રાપ્તિ થાય છે. સાધકોના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થાય છે. વિજયાદશમીના દિવસે માતા કાત્યાયનીએ મહિષાસુરનો વધ કર્યો હતો.