પ્રેમ આંધળો હોય છે, કારણ કે તે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેની સાથે થઇ શકે છે. પ્રેમને કોઇ ઉંમર સાથે લેવા-દેવા નથી. સમાજમાં અનેક કિસ્સાઓ એવા સામે આવી ચૂક્યા છે કે, પોતાની ઉંમર કરતા બહુ મોટા કે બહુ નાના યુવક સાથે પ્રેમ થઇ જાય છે. જોકે પરિણીત પુરૂષ કે પરિણીત મહિલા જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેની પરિણામ પણ બહુ ગંભીર આવે છે. ત્યારે આવોજ એક કિસ્સો રાજકોટના જસદણ તાલુકામાં સામે આવ્યો છે.
લોકગાયિકાએ બેન્જો માસ્ટર પ્રેમી સાથે દવા ગટગટાવી આપઘાત કર્યો
લોકડાઉનના લીધે પ્રોગ્રામ બંધ હોવાથી બન્ને વચ્ચે અંતર વધી
બન્નેના પરિજનો એમના અફેરથી વાકેફ હોવાનું પણ પોલીસે જણાવ્યું
રાજકોટના જસદણ તાલુકાના સોમ પીપળિયા ગામની સીમના જંગલ વિસ્તારમાં મોઢુકા ગામના રાજેશ તાવિયા(32 વર્ષ) અને સોમ પીપળિયા ગામની હેતલ ડાભી(20)એ આજે સવારે સજોડે ઝેરી દવા ગટગટાવીને જિંદગીનો અંત લાવી દીધો હતો. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બન્ને કેટલાક વર્ષોથી એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં. જોકે યુવક પરિણીત હોવાને કારણે બન્નેને સાથે જીવવું શક્ય ન લાગતાં અંતે મોતનો માર્ગ અપનાવી લીધો હતો.
બેન્જોવાદક રાજેશ તાવિયા પરિણીત હતો, પુત્ર-પુત્રીનો પિતા પણ હતો
મળતી માહિતી અનુસાર, રાજેશ તાવિયા બેન્જોવાદક હતો અને હેતલ ભજન સિંગર હતી. બન્ને ભજનના કાર્યક્રમોમાં સાથે કામ કરતા હતા. પરંતુ લોકડાઉનના લીધે પ્રોગ્રામ બંધ હોવાથી બન્ને વચ્ચે અંતર વધી ગયું. આ દરમિયાન તેમનાં હૃદય મળી ગયાં હતાં. હેતલ અપરિણીત હતી, જ્યારે પરિણીત રાજેશ પુત્ર-પુત્રીનો પિતા પણ હતો. જેના કારણથી બન્નેનું સાથે જીવવું શક્ય નહોતું. તેથી બન્નેએ વહેલી સવારે પોતપોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા. બાદમાં તેમણે સોમ પીપળિયાની સીમના જંગલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના સ્થાનક પાસે જ બન્નેએ ઝેરી દવા પી લીધી હતી.
જંગલ વિસ્તારમાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા, પરિવારજનોની પોલીસે કરી પૂછપરછ
રવિવારે જંગલ વિસ્તારમાં બન્નેના મૃતદેહ પડયા હોવાની પોલીસને જાણ થતાં ટીમ પહોંચી હતી. ઘટના સ્થળેથી ઝેરની બોટલ મળી આવી હતી. જેને લઇને પ્રાથમિક તારણ આપઘાતનો બનાવ હોવાનું મનાયું છે. પોલીસે તાત્કાલિક બન્નેના પરિવારજનોને બોલાવી લીધા હતા. પરિવારજનોને પોલીસે કરેલી પૂછપરછથી બન્ને વચ્ચે પ્રેમ હોવાની જાણ થઈ હતી.
સ્યુસાઈડ નોટમાં લખ્યું કે 'જીવવું તો સાથે, મરવું તોય સાથે'
આત્મહત્યા કરનાર બેન્જોવાદક રાજેશ અને સિંગર હેતલના મૃતદેહ પાસેથી પોલીસને 3 પાનાંની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે પોતાના પ્રેમ સંબંધની વાત કરીને લખ્યું હતું કે, જીવવું તો સાથે અને મરવું હોય તો પણ સાથે. આ ભવમાં એક થઇ શકીએ તેમ નથી, માટે આ દુનિયા છોડી દેવાનું અમારી મરજીથી નક્કી કર્યું છે. લખાણની નીચે બન્નેએ સહી કરી છે.