આણંદમાં દાંડી વિભાગ દ્વારા 52.53 કરોડ ખર્ચે તૈયાર થઇ રહેલા બોરસદ ચોકડી નજીક ફ્લાયઓવર બ્રિજના રેમ્પની પ્રોટેકશન દીવાલ ધરાશાયી થઈ છે. જેના લીધે ચારે બાજુ ભારે ચકચાર મચી ગઇ છે. જ્યાર બાદ પાલિકા અને કોન્ટ્રાક્ટરે એકબીજા ઉપર દોષારોપણ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે.
બ્રિજનું કામ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ કરવાનું હતું
બે વર્ષ પહેલાં આણંદની બોરસદ ચોકડી ખાતે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સરકાર દ્વારા આ રેલવે ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું કામ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ કરવાનું હતું. જે પૂર્ણ ન થતાં કોન્ટ્રાક્ટરે વધુ એક મહિનાનો સમય માગ્યો હતો, ત્યારે ગઈકાલે ઓવરબ્રિજ નીચેથી પસાર થતી પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતા બ્રિજના રેમ્પની પ્રોટેક્શન દીવાલ ધરાશાઈ થઇ છે. જેના કારણે બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
મહત્વનું છે કે, ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે સરકાર દ્વારા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારે દાંડી માર્ગ પર જ્યારે નિર્માણ કાર્ય પૂર્ણ થવાના આરે પહોચ્યું હતું ત્યારે આ ઘટના ઘટી હતી. આ બ્રિજ બનાવવાનું કામ મારૂતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને અપાયું હતું. તમને જણાવી દઇએ કે, છેલ્લા 2 વર્ષથી આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પાણીની પાઇપમાં ભંગાણ પડતાં આ દુર્ઘટના ઘટી હોવાની ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે, બ્રિજ ધરાશાયી થવાનો વીડિયો પણ વાયરલ થયો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ તૂટેલા બ્રિજની મુલાકાત લીધી હતી.
બ્રિજમાં ભંગાણ થવા પાછળ પાણીના લીકેજ થવાનું કારણ
જોકે, ફ્લાયઓવર બ્રિજના રેમ્પની પ્રોટેકશન દીવાલ ધરાશાયી થવાના કારણે ભારે નુકશાન થવા પામ્યું છે. જોકે સદનસીબે અવરજવરથી ધમધમતા આ વિસ્તારમાં આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઇ. બ્રિજમાં ભંગાણ થવા પાછળ પાણીના લીકેજ થવાનું કારણ સામે આવ્યું છે. બ્રિજના નિર્માણ પહેલા પાઇપલાઈનના શિફ્ટિંગની મંજૂરી કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકા પાસે માંગવામાં આવી હતી. જોકે પાલિકાએ આ ખર્ચ ઉઠાવવા સ્પષ્ટ ના કહેતા આખરે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને આજે આજ પાઇપલાઈન આ દુર્ઘટનાનું કારણ બની છે.