ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે દર વર્ષ ઉત્તરમાં પૂરની આફત ઊભી થાય છે. આ વર્ષ પણ ભયાવહ પૂરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ટાપુ બન્યા યુપી-બિહારના શહેર અને ગામડા
ગંગા-યમુના સહિત ઘણી નદીઓ બે કાંઠે
કેમ દર વર્ષ પૂરની સ્થિતિ સર્જાઇ છે જાણો કારણ
ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી પૂરની મોટી આફત છે. ગંગા યમુના સહિત અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. શું ગામડું અને શું શહેર બધુ એક ટાપુમાં ફેરવાઇ ગયું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજ અને વારાણસીમાં ગંગા અને યમુના નદીના પાણીએ કહેર વરસાવ્યો છે. તો બિહારમાં ગંગા નદીના ક્રોધથી લોકોનું જીવવું પણ મુશ્કેલ બન્યું છે. મોટી આફટના સંકેત દેખાઈ રહ્યા છે કારણ કે ગંગાની સહાયક નદીઓ પણ ભર'પૂર' છે. ઘરમાં ફસેલા લોકો પર ખાવા પીવાનું પણ સંકટ મડરાઈ રહ્યું છે. તો બીજી તરફ રાહત શિબિરોની હાલત પણ અત્યંત ખરાબ છે.
યુપીના 23 જીલ્લા અને 1200થી વધુ ગામોના હાલ બેહાલ
ઉત્તર પ્રદેશના 23 જિલ્લાઓ હાલની સ્થિતિએ પૂરથી પ્રભાવિત છે. 1200 થી વધુ ગામો ના 5 લાખથી વધુ લોકોના જીવ તાડવે ચોટયા છે. યુપીમાં પાછળના 24 કલાકમાં 13.1મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય વરસાદથી 154% વધુ છે. ઉત્તર પ્રદેશના 11થી વધુ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 25 મીમીથી પણ વધારે વરસાદ વરસ્યો છે. બદાયુ, પ્રયાગરાજ મિર્ઝાપુર વારાણસી ગાજીપુર બલિયા જેવા જિલ્લામાંથી વહેતી ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બીજી તરફ ઓરાઇયાં, જલોન, હમીરપૂર, બાંદા તેમજ પ્રયાગરાજમાં યમુનાનો કહેર જારી છે. લોકો ઘર વખરી છોડી પલાયન કરી રહ્યા છે. નદી આસપાસના મેદાનનો ના મેદાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકયા છે.
બિહારમાં પૂરસંકટ વધુ ગંભીર
બિહારના ભોજપુર જિલ્લામાં પૂરને કારણે લોકોની મુસીબતો વધી ગઈ છે. ગંગા નદી બે કાંઠે વહી રહી છે. પૂરના કારણે બિહારના આરા શહેરના આજુબાજુના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી હવે નેશનલ હાઈવેથી માંડી લોકોના ઘર સુધી ઘૂસી ગયું છે જેથી લોકોની અવર જવર પર મોટી મુશ્કેલી સર્જાઇ રહી છે. લોકો પૂરથી બચવા અને પેટનો ખાડો પૂરવા જીવને જોખમમાં નાખી બહાર નીકળી રહ્યા છે.51 ગામમાં વીજળી પુરવઠો સાવ ઠપ્પ થઈ ગયો છે. પૂરની સ્થિતિને ધ્યાને રાખી બિહારના વીજળી વિભાગના કર્મચારીઓ વીજ પુરવઠો કાપી જ નાખ્યો છે. લોકોને પૂર સંભવિત ક્ષેત્રમાંથી બહાર કાઢવા નાવડીની પણ મદદ લેવાઈ રહી છે લગભગ 110 મોટી નાની નાવડી રેશકયુની કામગીરીમાં લાગી ગઈ છે. રવિવાર સુધીમાં જળસ્તર ઓછું થવાની શક્યતા છે પણ હાલની સ્થિતિએ બિહારના પૂર પ્રભાવિત ક્ષેત્રોના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અચાનક ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે આવેલા આ પૂરમાં બિહારના 10 વધુ જિલ્લાઑ જલતાંડવની સ્થિતિ પેદા થઈ છે. જ્યાં લગભગ 4 લાખ જેટલા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
દર વર્ષ પૂરની હાલત કેમ સર્જાય છે?
ભારતના ઉત્તરી રાજ્યોમાં ઓગસ્ટ મહિનામાં પૂરની હાલત પેદા થતી હોય છે. અને આ વખત પણ આવું જ કઈક બન્યુ છે. પુરના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારત ત્રણેય તરફ દરિયાઇ સીમાથી ઘેરાયેલો છે તેમજ ઉપર હિમાલયથી ઘેરાયેલો છે જેંના કારણે હિમાલયથી નજીકના વિસ્તારોમાં પૂરનો ખતરો વધી જાય છે. એક જ જગ્યાએ એક દિવસમાં સરેરાશ કરતાં પણ વધૂ વરસાદ પડી જાય અને આ કારણે જ હાલ ઉત્તર પ્રદેશ અને બિહાર પૂરના જોખમ સામે લડી રહ્યા છે વર્લ્ડ બેકના રિપોર્ટ અનુસાર દુનિયા ભરમાં પૂરથી થતાં મોતના 20% તો ભારતમાં જ થાય છે. હાલ તો લોકો ગંગાજી યમુનાજીને ખમૈયા કરવા આજીજી કરી રહ્યા છે.