રાજ્યમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે. એવામાં નર્મદા જિલ્લામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણાં. તો ક્યાંક વ્હીકલો પણ તણાયા.
નર્મદા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
ક્યાંક ગાડીઓ તણાઇ તો ક્યાંક ગામડાંઓ સંપર્ક વિહોણાં
ગરૂડેશ્વરમાં આવેલો 35 મીટર ઊંચો ડેમ ઓવરફ્લો
સમગ્ર ગુજરાતમાં છેલ્લાં ત્રણેક દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે આજ રોજ દક્ષિણ ગુજરાત સહિત મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત-ઉ. ગુજરાતના કેટલાંક વિસ્તારોને પણ ધમરોળી નાખ્યા છે. એવામાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લામાં જોવા મળ્યો છે. જેમાં ક્યાંક ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળી રહી છે તો ક્યાંક ગામડાઓ સંપર્કવિહોણા બની ગયા છે.
તારોપા ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા કાર તણાઇ
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસવાના કારણે ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના કારણે નર્મદાના તારોપા ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. તારોપા ગામે પૂરની સ્થિતિ સર્જાતા પાણીમાં એક કાર તણાતી જોવા મળી રહી છે. જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સાથે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે.
રાજપીપળામાં પણ ભારે વરસાદના કારણે ટુ-વ્હીલર તણાયું
બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળામાં પણ ભારે વરસાદ વરસતા સ્ટેશન રોડ વિસ્તારમાં ટુ-વ્હીલર તણાતું જોવા મળી રહ્યું છે. સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઇ જતા તણાતા ટુ-વ્હીલરનો પણ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
ક્યાંક ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા
નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે રાજપીપળાથી ડેડીયાપાડાનો રસ્તો પણ ધોવાઇ ગયો છે. જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ડેડીયાપાડા સંપર્ક વિહોણું બન્યું છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું પૂછપુરા ગામ પણ સંપર્ક વિહોણું થયેલું જોવા મળી રહ્યું છે. પૂછપુરા ગામ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. વધતા જતા પાણીના પ્રવાહના કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. જણાવી દઇએ કે, તાલુકા અને જિલ્લા મથકે અવર-જવર માટેનો માત્ર એક જ રસ્તો છે.
ગરૂડેશ્વરમાં આવેલો 35 મીટર ઊંચો ડેમ ઓવરફ્લો
નર્મદા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે. જેના કારણે ગરૂડેશ્વરમાં આવેલો 35 મિટર ઊંચો ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નદીમાં પણ પૂર આવ્યું છે. સાથે 5 હજારની વસ્તી ધરાવતુ નઘાતપુર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ગરૂડેશ્વર તાલુકામાં છેલ્લા 12 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગામમાં 400 મકાન અને 5000 લોકોની વસ્તી છે. આથી, કોઝવે પર પાણી ફરી વળતા ગામના લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ સાથે નાંદોદ તાલુકાના લાછરસ ગામે પણ મંદિરમાં પાણી ફરી વળ્યા છે. ગામ વચ્ચે તળાવ જેવી સ્થિતિ સર્જાઇ છે.
50થી વધુ ઘરોમાં પાણી ભરાઇ જતા ખૂબ મોટું નુકસાન
બીજી બાજુ નર્મદાના રાજપીપળાના ખારા ફરિયા અને દેવીપૂજક વિસ્તારમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાઇ જતા ખૂબ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી, સાંસદ મનસુખ વસાવા અને પાલિકા પ્રમુખે આ વિસ્તારની મુલાકાત લઇ નુકસાનીનું નિરિક્ષણ કર્યું.