સમગ્ર દેશ જાણે ‘મહાજળપ્રલય’નો સામનો કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નાનાં નાનાં ગામડાં કે વિસ્તારોની વાત ભલે કોઈ ન કરે, પરંતુ મુંબઈ, પુણે અને પટણા જેવાં મહાનગર પણ જળપ્રલયની વિનાશલીલાથી બચી શક્યાં નથી. દેશનાં આ ટોચનાં વિકસિત શહેરોમાં તો ધનકુબેરો અને રાજનૈતિક મઠાધીશોના મહેલો પણ આવેલા છે એટલે ત્યાંની તબાહીની ચર્ચા અત્યારે સૌથી વધુ ચાલી રહી છે.
આ એક કુદરતી આપત્તિ છે અને તેનાથી દુનિયાનો કોઈ દેશ સુરક્ષિત નથી, તેમાં ભલે કોઈ શંકા નથી, પરંતુ તેની આડમાં આપણે દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખામીઓ અને પ્રકૃતિ વિરોધી આપણી માનસિકતા છુપાવી શકીએ તેમ નથી.
દેશમાં વરસાદે 125 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આ વર્ષે દેશમાં પહેલી વખત ૧રપ વર્ષનો રેકોર્ડ તોડીને ચોમાસું ૧૦૭ ટકા વરસ્યું છે અને હજુ પણ ૧૦ ઓક્ટોબર પહેલાં ચોમાસાની વિદાયના કોઈ સંકેત નથી, જેના કારણે આ આંકડો વધીને ૧૧૦ ટકા થઈ શકે છે. વરસાદ અને પૂરના કારણે દેશમાં આ વર્ષે ૧૭૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને ગત એક સપ્તાહ દરમિયાન વરસાદની સૌથી માઠી અસર ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તરાખંડ વગેરેમાં જોવા મળી છે. તેના પરિણામે બિહારમાં ૧ ઓક્ટોબર સુધીમાં મોતને ભેટનારા લોકોની સંખ્યા વધીને પપ તથા ઉત્તરપ્રદેશમાં ૯૩ થઈ ગઈ છે.
સૌથી વધુ તબાહી બિહારની રાજધાની પટણામાં થઇ
સર્વાધિક તબાહી બિહારની રાજધાની પટણામાં થઈ છે, જ્યાં લગભગ ર૦ લાખ લોકો આ આસમાની આફતથી પ્રભાવિત થયા છે. ૮પ ટકા ઘર, હોસ્પિટલ-શાળાઓ, વ્યાપારિક અને સરકારી પ્રતિષ્ઠાનો વગેરેમાં પાણી ભરાઈ ગયાં છે. ખુદ નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદી તેમના રાજેન્દ્રનગર સ્થિત નિવાસસ્થાનમાં ભયંકર પૂરમાં ફસાઈ ગયા હતા. મોદી અને તેમના પરિવારના સભ્યો સતત ત્રણ દિવસ સુધી આ સંકટમાં ફસાયેલા રહ્યા બાદ ૩૦ સપ્ટેમ્બરે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે તેમને બચાવ્યા હતા.
વરસાદે હવે થોડો વિરામ ભલે લીધો હોય, પરંતુ લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમના ભાવ અનેકગણા વધી ગયા છે. આ વખતે ચોમાસાએ દેશભરમાં જાનમાલને ભારે નુકસાન તો પહોંચાડ્યું જ, પરંતુ આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમની નિષ્ફળતા અને તંત્રની અસંવેદનશીલતાને પણ ઉજાગર કરી છે. રાહતના પ્રબંધમાં પણ કેટલી ઊણપ છે તેની પોલ પણ આ પૂરસંકટે ખોલી દીધી છે.
જળવાયુ પરિવર્તનની વધુ જોવા મળશે આડઅસર
આવું પહેલી વાર નથી બન્યું જ્યારે દેશના તમામ વિસ્તારમાં પૂરસંકટથી પાયમાલી સર્જાઈ છે, પરંતુ થોડા સમયમાં જ પડેલા ભારે વરસાદથી આપણી આપત્તિ સામે લડવાની પ્રણાલી કેટલી પોકળ છે તેનો સ્પષ્ટ ચિતાર આપી દીધો છે. આ જળવાયુ પરિવર્તનનું પરિણામ છે. આગામી સમયમાં જળવાયુ પરિવર્તનની આનાથી પણ ખરાબ એવી આડઅસર વધુ જોવા મળી શકે છે. હવે જ્યારે એવું માનવામાં આવે છે કે જળવાયુ પરિવર્તનની ખરાબ અસરોથી બચવું મુશ્કેલ છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે દરેક સંભવિત પગલાં ભરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
બિહારના પહેલા મુખ્યપ્રધાને બતાવ્યો હતો રસ્તો
બિહારના પહેલા મુખ્યપ્રધાન (CM) શ્રીકૃષ્ણ સિંહ અવારનવાર કહેતા હતા કે જો કુદરતનો કાબૂ તેમના હાથમાં હોય તો તેમણે એક-એક મહિના માટે કોસી નદીને દેશના દરેક પ્રાંતમાં મોકલી દીધી હોત તો આખા દેશને સમજાયું હોત કે પૂરસંકટનો અસલી અર્થ શું થાય છે. તેમની આ વાત હવે કદાચ દેશભરને સમજાઈ ગઈ હશે. આજે દેશનાં મોટા ભાગનાં રાજ્ય પૂરસંકટથી ઘેરાયેલાં છે અને સંકટની આ ઘડીમાં સાબૂત રહી શકે તેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અભાવ અનેક લોકોના મોતનું કારણ બની રહ્યો છે.
પ્રકૃતિનું ચક્ર બન્યું છે અનિયમિત
એક વાત તો આપણે માનવી જ રહી કે પ્રકૃતિનું હવામાન ચક્ર પણ હવે અનિયમિત બની ગયું છે. હવે શિયાળા-ઉનાળા અને ચાેમાસા માટે કોઈ ચોક્કસ સમય રહ્યો નથી. આના કારણે ભૂગર્ભ જળસપાટીમાં મોટો ઘટાડો થયો છે. બાંધકામ ઉદ્યોગ, પરિવહન અને વપરાશ માટે કુદરતી સંસાધનોનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપભોક્તાવાદમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. આપણે આપણાં ઘરનો મોટા ભાગનો કચરો ગટરમાં ફેંકી દઈએ છીએ. આ કચરો ગટરમાં જમા થાય છે ત્યારે પાણી રોકાઈ જાય છે.
નીતિશ કુમારની સરકાર પર ઉભા થયા સવાલ
બિહારમાં દસ વર્ષ સુધી લાલુપ્રસાદ યાદવનું શાસન રહ્યું, નીતીશકુમારનો આ સતત ત્રીજો શાસનકાળ ચાલી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે, ‘સુશાન બાબુ’એ શહેરમાં ફ્લાયઓવર તો બનાવી દીધા, પરંતુ તેમણે ગટર વ્યવસ્થા સુધારવા માટે શું કર્યું? નીતીશ સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટના નામે પણ સાવ લાચાર નજરે પડી. શહેરોના લોકો ક્યારેય વિચારતા નથી કે પૂર આવે તો તેમણે શું કરવું અને સ્થાનિક તંત્ર પણ તેનો અભ્યાસ કરતું નથી.
સ્થાનિક નાગરિક નિગમ પણ મૌન બનીને મોતનો આ તમાશો જોતું રહ્યું. પૂર પછીની પરિસ્થિતિમાંથી બહાર આવવું તેમના માટે એક મોટો પડકાર છે. આ પડકાર અન્ય પૂરગ્રસ્ત વિસ્તારો માટે પણ છે. જો ઈમાનદારીથી કામ કરવામાં આવ્યું હોત તો પૂરથી આટલું નુકસાન થયું ન હોત એ વાત તંત્રએ સ્વીકારવી જ રહી.•