ચુકાદામાં જણાવ્યું છે કે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧થી કોઈ પણ નવા વાહનના વેચાણ પર તેનો બમ્પર ટુ બમ્પર ઈન્સ્યોરન્સ (સંપૂર્ણ વીમો) ફરજિયાત કરવો જોઈએ
મદ્રાસ હાઈકોર્ટનો આદેશ
બમ્પર ટૂ બમ્પર ઈન્સ્યોરન્સ ફરજીયાત
જાણો વધુ માહિતી
મદ્રાસ હાઈકોર્ટે ખાસ કરીને નવાં વાહનો માટે બમ્પર ટુ બમ્પર ઈન્સ્યોરન્સ ફરજિયાત કરવા આદેશ કર્યો છે. મદ્રાસ હાઈકોર્ટે પોતાના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧થી કોઈ પણ નવા વાહનના વેચાણ પર તેનો બમ્પર ટુ બમ્પર ઈન્સ્યોરન્સ (સંપૂર્ણ વીમો) ફરજિયાત કરવો જોઈએ. મીડિયા રિપોર્ટ અનુસાર પાંચ વર્ષના સમયગાળા માટે ચાલક, પ્રવાસીઓ અને વાહનના માલિકને કવર કરનાર ઈન્સ્યોરન્સ ઉપરાંત આ ઈન્સ્યોરન્સ બમ્પર ટુ બમ્પર કરવો ફરજિયાત રહેશે.
શું છે બમ્પર ટુ બમ્પર ઈન્સ્યોરન્સ
અત્રે ઉલ્લેખનીય છે કે બમ્પર ટુ બમ્પર ઈન્સ્યોરન્સમાં વાહનના ફાઈબર, મેટલ અને રબરના પાર્ટ્સ સહિત ૧૦૦ ટકા કવરેજ આપવામાં આવે છે. મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ. વૈદ્યનાથને જણાવ્યું છે કે વાહનના માલિકને ચાલક, પ્રવાસીઓ, થર્ડ પાર્ટી અને સ્વયંનાં હિતોનું રક્ષણ કરવા માટે પાંચ વર્ષના સમયગાળા બાદ સતર્ક રહેવું જોઈએ, જેથી તેમના પર કોઈ પણ પ્રકારની બિનજરૂરી જવાબદારી આવે નહીં. ઉલ્લેખનીય છે કે ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ દ્વારા એક કેસમાં રિટ પિટિશન પર મદ્રાસ હાઈકોર્ટ સુનાવણી કરી રહી હતી. ૭ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ઈન્સ્યોરન્સ કંપનીએ ઈરોડ સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં જણાવાયું હતું કે ઈન્સ્યોરન્સ કંપની માત્ર થર્ડ પાર્ટીને થતા નુકસાન માટે જ જવાબદાર છે. કંપનીનું કહેવું હતું કે કારચાલક દ્વારા એક્સિડન્ટ થવાની સ્થિતિમાં કંપની આ નુકસાન માટે જવાબદાર નથી.
કોર્ટે ચુકાદો સંભળાવતાં પહેલાં જણાવ્યું હતું કે એ અત્યંત દુઃખદ છે કે જ્યારે કોઈ પણ વાહનનું વેચાણ કરવામાં આવે છે ત્યારે ખરીદનારને પોલિસીની શરતો અને તેના મહત્ત્વ અંગે સ્પષ્ટપણે જાણકારી આપવામાં આવતી નથી. ઈન્સ્યોરન્સ કંપનીનું કહેવું છે કે સંબંધિત વીમા પોલિસી માત્ર થર્ડ પાર્ટી દ્વારા વાહનને થનારા નુકસાન માટે જ હતી, નહીં કે વાહનમાં સવાર લોકો માટે.