કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણ વચ્ચે હવે એવી સંભાવના વ્યક્ત થઇ રહી છે કે, દિલ્હીના દવાખાનામાં હવે માત્ર સ્થાનિક લોકોનો જ ઇલાજ કરવામાં આવશે. આવું એટલા માટે કારણ કે, દિલ્હી સરકાર દ્વારા ગઠન કરવામાં આવેલ પાંચ ડોક્ટરોની કમિટિએ દિલ્હી સરકારને અહેવાલ સોંપ્યો છે.
દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત
દિલ્હી બહારથી આવતા લોકોને નહીં થાય ઇલાજ
જેમાં રાજ્યમાં ઉપલબ્ધ સ્વાસ્થ્ય સુવિધાઓને ઉપયોગ દિલ્હીવાસીઓ માટે જ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. ત્યારે હવે બહારથી દિલ્હી ઇલાજ માટે આવતા લોકો માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
કમિટિએ સરકારને કહ્યું- તો 3 દિવસમાં બેડ ભરાઇ જશે
નોંધનીય છે કે, આ કમિટિએ સરકારને જણાવ્યું હતું કે, દિલ્હીની હોસ્પિટલમાં જો બહારથી દર્દીઓ ઇલાજ માટે આવે છે તો તેનાથી તમામ બૅડ આગામી 3 દિવસની અંદર જ ભરાઇ જશે.
આપને જણાવી દઇએ કે, રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 1 જૂનથી રાજધાનીની તમામ બોર્ડર સીલ કરવાને લઇને દિલ્હીની જનતા પાસેથી અભિપ્રાય માગ્યા હતા. આ સાથે જ 2 જૂનના રોજ એક કમિટિની રચના પણ કરી હતી.
દર્દીઓની સારવાર કરવામાં આવશે નહીં
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારે આ સમિતિના અહેવાલનો અમલ કર્યો તો શક્ય છે કે, આગામી દિવસોમાં દિલ્હીથી બહારથી આવતા કોરોના દર્દીઓની સારવાર કરવામાં નહીં આવે. તેમજ અન્ય રોગોની સારવાર માટે આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે, તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કોરોના પીડિત સિવાય અન્ય કોઈ રોગની સારવાર માટે આવતા દર્દીઓ પણ આ કેટેગરીમાં મૂકવામાં આવશે કે નહીં. ગયા અઠવાડિયે, દિલ્હી સરકારે ડૉ. મહેશ વર્માની અધ્યક્ષતામાં પાંચ ડોકટરોની સમિતિની રચના કરી.
મુખ્યમંત્રીએ ખાનગી હોસ્પિટલો પર લગાવ્યા આરોપ
આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીની ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓની સારવાર કરવી પડશે. તેમણે ચેતવણી આપી હતી કે જે લોકો સારવારનો ઇનકાર કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીની ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને દાખલ કરવાના નામે પૈસા વસૂલવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ આ ચેતવણી આપી છે. સીએમએ કહ્યું કે માત્ર થોડીક હોસ્પિટલો છે, જે આવા કાળા ધંધામાં જોતરાયેલી છે. મોટાભાગની ખાનગી હોસ્પિટલો યોગ્ય રીતે કાર્ય કરી રહી છે.