માનવ અધિકાર એક્ટીવીસ્ટ ગૌતમ નવલખાની FIR રદ કરવાની સુનાવણીમાં નાટકીય વળાંકો આવી રહ્યા છે. ભીમા કોરેગાંવ હિંસા માટે ધરપકડ કરાયેલા ગૌતમ નવલખાનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો છે જ્યાં ૩ દિવસમાં CJI રંજન ગોગોઈ સહિત ૫ ન્યાયાધીશો આ કેસમાંથી ખસી ગયા છે અને આ માટેનું કોઈ પણ કારણ સામે આવી રહ્યું નથી. ત્યારે આ કેસ વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે.
સામાજિક કાર્યકર ગૌતમ નવલખાની ધરપકડ ભીમા કોરેગાંવ કેસમાં હિંસા ભડકાવવા અને માઓવાદી જૂથો સાથે કથિત જોડાણ હેઠળ કરાઈ હતી. તેમની સામેની FIR રદ કરવાણી અરજી સુપ્રીમ કોર્ટના દ્વારે પહોચી છે જ્યાં આશ્ચર્યજનક રીતે ૫ ન્યાયાધોશોએ આ અરજી તેમની સામે ચલાવવાનો ઇનકાર કરી દીધો છે.
શું હતો ભીમા કોરેગાંવ કેસ?
ડીસેમ્બર ૨૦૧૭માં પુણે જીલ્લાના ભીમા કોરેગાંવ ગામમાં એલ્ગાર પરિષદ યોજાઈ હતી. દર વર્ષે આ ગામમાં અંગ્રેજોના સમયે થયેલા એક યુદ્ધમાં દલિતોએ મરાઠાઓને હરાવ્યા હતા જે વિજયની યાદગીરી રૂપે અહી કાર્યક્રમ યોજાય છે અને મોટી સંખ્યામાં દલિતો આ કાર્યક્રમમાં હાજરી આપે છે. આ વર્ષે આ પરિષદમાં કટ્ટર હિન્દુત્ત્વ ફેલાવતા જૂથો સામે અને જ્ઞાતિવાદ સામે દલિતોએ આક્રોશની લાગણી વ્યક્ત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ સભામાં ગુજરાતના MLA જીગ્નેશ મેવાણીએ પણ હાજરી આપી હતી.
આ કાર્યક્રમ બાદ દેશભરમાં દેશમાં હિંસા ફાટી નીકળી હતી અને વિવિધ શહેરોમાં પથ્થરમારા અને આગચંપી જેવી ઘટનાઓ નોંધાઈ હતી અને એક કથિત પોલીસ દમનમાં એક દલિતનું મોત નીપજ્યું હતું.
નવલખાની શા માટે ધરપકડ કરાઈ?
નવલખા સહિત ૫ એક્ટીવીસ્ટ્સની માઓવાદી સંગઠનો સાથે કથિત જોડાણ હોવાના અને દેશ સામે વિદ્રોહ કરવાના ગુના હેઠળ ધરપકડ કરી હતી આ કારણથી બોમ્બે હાઈ કોર્ટે ૧૩ સપ્ટેમ્બરે નવલખા સામેની FIR રદ કરવાની યાચિકા ફગાવી દીધી હતી જે ચુકાદાની વિરુદ્ધમાં નવલખાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
ન્યાયાધીશોની કેસમાંથી ખસી જવાની હારમાળા
આ કેસ સૌપ્રથમ CJI રંજન ગોગોઈની વડપણ હેઠળની બેંચ દ્વારા ચાલવાનો હતો પરંતુ ગોગોઈ આ કેસમાંથી ખસી ગયા હતા.
બાદમાં આ અરજી ૩ જજો જસ્ટીસ એન વી રમના, જસ્ટીસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટીસ બી આર ગવઈની બેંચને સોપવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે ત્રણેય જજો પણ આ અરજી પર સુનાવણી કરવામાંથી ખસી ગયા હતાં.
ત્યાર બાદ આ અરજીને ત્રીજી વાર જસ્ટીસ અરુણ મિશ્રા, જસ્ટીસ વિનીત સરણ અને જસ્ટીસ એસ રવીન્દ્ર ભટ્ટને બેંચ સામે લાવવામાં આવી. પરંતુ છેલ્લા સમયે જસ્ટીસ રવીન્દ્ર ભટ્ટ પણ આ અરજીથી અલગ થઇ ગયા છે. તેમણે CJI ગોગોઈને આ કેસ બીજી બેંચને સોપવાનો આગ્રહ કર્યો છે.
કેમ જજો કેસથી અલગ થતા હોય છે?
જયારે હિતોનો ટકરાવ થતો હોય અથવા એવા મામલાઓમાં જ્યાં જે તે જજે ભૂતકાળમાં વકીલ તરીકે જે તે પક્ષના વકીલ તરીકે અદાલતમાં દલીલ કરેલી હોય તેવા કેસોમાં જજો કેસમાંથી ખસી જવાનું પસંદ કરે છે.
જેમ કે હાલમાં જસ્ટીસ યુ યુ લલિત પોતે અયોધ્યા જન્મભૂમિ વિવાદના કેસમાં સુનાવણીથી પહેલા પોતાને અલગ કરી દીધા હતા કેમ કે તેમણે ભૂતકાળમાં વકીલ તરીકે તેમણે બાબરી મસ્જીદ તોડવાના આરોપીના પક્ષકાર તરીકે દલીલ કરી હતી.
આ કેસમાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે જસ્ટીસ ભટ્ટ પહેલા વકીલ તરીકે “પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ” સંસ્થા સાથે જોડાયેલા હતા જે સંસ્થા સાથે ગૌતમ નવલખા જોડાયેલા છે. આ કારણે તેઓ આ કેસમાંથી ખસી ગયા હોય તેવી શક્યતા છે.