ત્યાર બાદ દૂતે કહ્યું કે દ્રુપદરાજે વિવાહ નિમિત્તે જાનૈયાઓ માટે ભોજન તૈયાર કરાવ્યું છે તો તમે ત્યાં ચાલો અને પાંડવો રથમાં બેસીને દ્રુપદ ભવને ગયા. ધર્મરાજે જે વચનો પુરોહિતને કહ્યાં હતાં તે તેમણે દ્રુપદને કહી સંભળાવ્યાં. દ્રુપદને હજુ પ્રતીતિ થઈ નહીં અને તેમણે યુધિષ્ઠિરને સીધું જ પૂછ્યું કે તમે ક્ષત્રિય છો કે બ્રાહ્મણ કે ગુણસંપન્ન વૈશ્ય કે શૂદ્રો કે માયાથી બ્રાહ્મણોનું રૂપ લઈને તમે કોઈ દેવો આ દિશાએ આવ્યા છો?
અમને સત્ય કહો. અમને ભારે સંદેહ પડ્યો છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે તમે દુખી ન થાવ અમે મહાત્મા પાંડુના પુત્રો છીએ. તમે અમારા ગુરૂરૂપ અને પરમ શરણરૂપ છો. અર્જુને તમારી આ રત્નસમાન પુત્રીને વિજ્યમાં મેળવી છે પરંતુ હે રાજન્ અમારો ઠરાવ છે કે રત્નનો ઉપયોગ સહિયારો કરવો. આથી કૃષ્ણા અમારી સૌની ધર્મપૂર્વક પટરાણી થશે. અગ્નિ સમક્ષ અમે સૌ ક્રમપૂર્વક તેનું પાણિગ્રહણ કરીએ.
દ્રુપદ કહે છે કે તમે ધર્મને જાણનારા છો, તો લોક અને વેદથી વિરુદ્ધ આ અધર્મ કૃત્ય કરવું તમારા માટે યોગ્ય નથી. તમારી બુદ્ધિ આવી ક્યાંથી થઈ? યુધિષ્ઠિર જવાબ આપે છે કે, હે મહારાજ, ધર્મ સૂક્ષ્મરૂપ છે. અમે તેની ગતિ પામી શકતા નથી. મેં નથી તો અસત્ય વાણી ઉચ્ચારી કે નથી મારું મન અધર્મમાં પરોવાતું.
દ્રુપદ યુધિષ્ઠિરની વાત માની જાય છે. પરંતુ તેમના અને ધૃષ્ટદ્યુમ્નના મનમાં શંકા ઉદ્દભવે છે કે એક સ્ત્રી અનેક પુરુષની પત્ની થાય તો એમ કરવામાં સંકરતા ન આવે? યુધિષ્ઠિર પુરાણનો દાખલો આપીને તેમની શંકાનું નિવારણ કરવા પ્રયત્ન કરે છે કે શ્રેષ્ઠ ધર્મધારી ગૌતમ ગોત્રની જટિલા સાત ઋષિઓને પરણી હતી. તે જ રીતે મુનિકન્યા વાર્ક્ષીએ એક જ પ્રચેતા નામવાળા દશ ભાઈઓ સાથે લગ્ન કર્યાં હતાં.
અને પછી વ્યાસ દ્રુપદની શંકાનું સમાધાન એક કથાથી કરે છે કે નૈમિષારણ્યમાં દેવોએ સત્ર માંડ્યો તેમાં દીક્ષિત વિવસ્વતના પુત્ર યમરાજે પશુ મારવાનું બંધ કરી દીધું. આથી ચંન્દ્ર, ઇન્દ્ર, વરુણ, કુબેર આદિ ફરિયાદ લઈને બ્રહ્મા પાસે ગયા અને કહ્યું કે અમે ભયભીત થયા છીએ. બ્રહ્યાએ કૌતુકથી પૂછ્યું કે તમે તો અમર છો, મરણધર્મા મનુષ્યોથી તમને ડર કેમ લાગે છે?
ત્યારે દેવોએ કહ્યું કે મરણધર્મા હમણાં અમર થઈ ગયા છે. હવે અમારામાં અને એમનામાં કોઈ વિશેષ ભેદ રહ્યો નથી. આ સરખાપણાનો અમને ડર લાગે છે. ત્યારે બ્રહ્માએ તેમને આશ્વાસન આપ્યું કે હાલ સૂર્ય પુત્ર યમરાજ યજ્ઞમાં રોકાયેલા છે એ સર્વ કાર્ય કરીને એકાગ્ર થશે એટલે મનુષ્યોનો અંતકાળ આવશે.
આદિદેવ બ્રહ્માનું વચન સાંભળીને દેવો એ યજ્ઞસ્થળે ગયા. તેમણે ગંગાજીમાં એક સુવર્ણ કમળ જોયું. કમળ પાસે એક અગ્નિસમાન કાંતિવાળી યુવતી સ્નાન કરતી રડી રહી હતી. તેનું અશ્રુબિન્દુ પાણીમાં પડ્યું અને ત્યાં તે કનક કમળ થયું. ઇન્દ્રે તે યુવતીને પૂછ્યું કે તું કોણ છે, સત્ય વચન બોલજે. સ્ત્રી ઇન્દ્રને કારણ બતાવવા આગળ લઈ ગઈ.
ગિરિરાજનાં શિખર ઉપર એક તરુણ સિંહાસન પર બેઠો હતો અને યુવતી સાથે પાસાથી દાવ રમતો હતો. તેને પાસામાં લીન જોઈને ઇન્દ્ર ક્રોધે ભરાયો અને તેના પર ત્રિભુવન સ્વામીનો રોફ જમાવવા લાગ્યો. ઇન્દ્રને કુપિત જોઈને તરુણ મહાદેવ હસ્યા અને ધીરેથી ઇન્દ્ર સામે જોયું તો ઇન્દ્ર થાંભલો થઈ ગયા.
મહાદેવે રડતી દેવીને કહ્યું કે પેલાને મારી સામે લઈ આવ કે જેથી ફરીને એને મારી સામે આવો અહંકાર ન આવે. પછી તે સ્ત્રીએ સ્પર્શ કરતાં ઇન્દ્રનાં અંગ ઢીલાં થયાં અને તે ધરતી પર ઢળી પડ્યા. ભગવાન ગિરીશે વજ્રધારી ઇન્દ્રને હાથે એક ગિરિરાજને ખસેડાવ્યા અને ઇન્દ્રે જોયું તો ત્યાં મધ્યભાગમાં સૂર્યના જેવી કાંતિવાળા બીજા ચાર પુરુષ હતા.
ઇન્દ્ર ભયથી થથરી ઉઠ્યા પણ ભગવાને કહ્યું કે જે લોકો અહંકારી સ્વભાવ રાખે છે તેના પર હું કદી પ્રસન્ન થતો નથી. આ ચાર પુરુષની જેવું તેં કર્મ કર્યુ છે તો તું પણ આ ગુફામાં જા અને ત્યાં જ સૂઈ રહે. તમે સૌ માનવયોનિમાં પ્રવેશશો. અને ત્યાં તમે તમારાં પુણ્યબળે ઇન્દ્રલોક પામશો.
મહાદેવે એ ગુફામાં પૂરેલા અને પાછળથી પાંડવો બનેલા પાંચ ઇન્દ્ર હતા વિશ્વભુક, ભૂતધામા, શિબી, શાંતિ અને તેજસ્વી. અને આંસુ સારતી યુવતી તેમની માતા કુંતા બની. એક ઋષિ કન્યાએ તપ કરીને શિવને પ્રસન્ન કર્યા અને વરદાનમાં વારંવાર ગુણવાન પતિની પાર્થના કરી. મહાદેવે પ્રસન્ન થઈને કહ્યું કે મને તે ફરીને પાંચવાર પતિ આપો એમ કહ્યું છે તો તને આવતા જન્મે પાંચ પતિ મળશે.