ખરીદ અને વેચાણ કોને કહેવાય તે તો આપણે જાણીએ છીએ. પરંતુ આજે આપણે કોઈ માલ-સામાનના ખરીદ-વેચાણની વાત નથી કરવી. પરંતુ રાજનેતાઓના ખરીદ-વેચાણની વાત કરવી છે. જેની હાલ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવતા ફરી સિઝન ખુલી છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તો વેચાઈ પણ ચૂક્યા છે, આવું કોંગ્રેસ કહે છે. જોકે હાલનો માહોલ પણ કાંઈક તેવું જ દર્શાવી રહ્યો છે. તો બીજી તરફ ક્યાંક પક્ષ પલટુઓ સામે લોકોનો રોષ પણ સામે આવવા માંડ્યો છે. તો ક્યાંક પક્ષ પલટુની ધરમ પત્નીઓ તેના બચાવમાં મેદાનમાં આવી છે. ત્યારે જાણો કેવું છે જનતાના મુદ્દાઓથી ભાટકેલું અને પોતાના ખિસ્સા ભરતું ગંધાતું રાજકારણ...
ખિસ્સા ભરતું રાજકારણ!
જનતાના વિશ્વાસ સાથે રમત કેમ?
શું કહે છે 72નું ગણિત?
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા હાલ ગુજરાતમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. સામાન્ય રીતે તો કોંગ્રેસની રાજ્યસભાની એક બેઠક ગૂમાવી ચૂકી છે. છતાં હજું કોંગ્રેસની આશા અમર છે. કોંગ્રેસ દાવો કરી રહી છે કે તે રાજ્યસભાની બંને બેઠકો જીતશે.
શું નેતાઓને હવે પોતાના ખિસ્સા જ ભરવા છે?
કોંગ્રેસનો ભરોસો કેટલો સાર્થક થશે તે તો રાજ્યસભાની ચૂંટણીમાં ખબર પડી જશે. પરંતુ એવું લાગી રહ્યું છે કે, ગુજરાતનું રાજકારણ હવે જનતાના વિકાસ માટે નહીં પરંતુ સત્તા માટે અને પોતાના ગજવા ભરવા માટે થઈ રહ્યું છે. ત્યારે જ તો કોઈ ધારાસભ્ય ભાજપમાં ટિકિટ ન મળતા કોંગ્રેસમાં આવે છે. કોંગ્રેસમાં જીત મળે તો તેની ખરીદારી થાય છે અને ગુજરાતની જનતાના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત સિવાય કશું જ થતું નથી. હાલ ગુજરાતમાં આવો જ માહોલ જામ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામા ધરી દીધા છે.
કોંગ્રસના 5 ધારાસભ્યોના રાજીનામાં
ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા
લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ
ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત
આ એજ પાંચે ધારાસભ્યો છે. જેણે જનતાના ભરોસાને તોડ્યો છે. આજે વેચાઈ ચૂક્યા છે. આવું અમે નહીં કોંગ્રેસ આક્ષેપ લગાવી રહી છે. જ્યારે જનતા આવા પક્ષપલટુઓ સામે રોષ ઠાલવી રહી છે. જેમાં પક્ષપલટુ પત્રકાર પરિષદ યોજવા બેઠા તો નારાજ મહિલાઓએ તેમના પર બંગડીઓ ફેંકી હતી. તેમની સામે બંગડીઓ ધરી દીધી. કારણ કે, પ્રદ્યુમનસિંહે ભાજપનો કેસરિયો પસંદ આવ્યો છે. જોકે કોંગ્રેસ તો હવે ખુલ્લેઆમ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ધારાસભ્યોને પૈસાથી ખરીદાયાના આક્ષેપ વગાવ્યા છે.
જે.વી. કાકડીયાની પત્નીએ કહ્યું- ભરતસિંહ સોલંકી જ જવાબદાર, કારણ કે...
જોકે અહીં ખરીદ-વેચાણના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે હજુ જે.વી.કાકડિયા તો ગાયબ છે. પરંતુ તેમની પત્નીએ જે ઘટસ્ફોટ કર્યો છે તે કોંગ્રેસના પાયા ડગાવનારો છે. કારણ કે, તેમના મતે તો કોંગ્રેસની આ હાલત પાછળ ભરતસિંહ સોલંકી જ જવાબદાર છે. જેને પહેલા ટિકિટ ન મળતા ભાજપમાં જોડાવા કહ્યું હતું.
શું કહે છે 72નું ગણિત?
એટલે કે, અહીં ઘરના જ તોડફોડિયા નિકળ્યા. હવે વાત કરી કોંગ્રેસના દાવાની કે અમારી પાસે 72 ધારાસભ્યોનું સમર્થન છે. તો આ અંગેનું ગણિત પણ સમજો. હાલ પાંચ ધારાસભ્યોના રાજીનામા પડતા કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો રહ્યા છે. જો કોંગ્રેસને NCP-BTP ત્રણ મત અને એક અપક્ષમાંથી જીજ્ઞેશ મેવાણીનો મત પડે તો કોંગ્રેસ 72 ધારાસભ્યોનું સમર્થન મળે. પરંતુ હાલ NCP-BTPનું સ્ટેન્ડ ક્લિયર નથી. તો બીજી તરફ એવી પણ માહિતી છે કે, કોંગ્રેસમાંથી હજુ પણ કેટલીક વિકેટો ખડી શકે છે. પરંતુ હાલ કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને સાચવવામાં લાગી છે. જોકે બીજી તરફ કોંગ્રેસમાં પણ અંદરો અંદર શક્તિસિંહ અને ભરતસિંહના નામે ડખા ચાલી રહ્યા છે. કારણ કે, બંનેમાંથી કોઈ ફોમ પરત ખેંચવા તૈયાર નથી. જોકે હાલ તો જયપુરની હોટેલમાં કોંગ્રેસ મંથન કરી રહી છે. પરંતુ આ મંથન હવે કેટલા ધારાસભ્યોને બચાવી શકે છે તે જોવું રહ્યું.