મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ શહેરનાં સૌથી વધુ વ્યસ્ત ટ્રાફિક જંક્શન પર વિવિધ પ્રકારના બ્રિજ પ્રોજેક્ટ હાથ ધર્યા છે, જોકે છેક સાત વર્ષ પહેલાં તંત્ર દ્વારા બ્રિજ બાંધવાની પ્રાયોરિટી નક્કી કરાઇ હતી તેમ છતાં ખુદ તંત્રની પ્રાયોરિટી મુજબ નવા બ્રિજ બનતા નથી. આ વિવાદ ઉપરાંત હવે શાસકોને લોકાર્પણ કરાયેલા પાંચ બ્રિજને હજુ સુધી કોઇ પણ મહાનુભાવનું નામ અપાયું ન હોઇ જાણે કે સત્તાધીશોને બ્રિજને નામ આપવાની ઉતાવળ નથી અથવા તો નામકરણમાં મૂંઝવણ હોય તેવો વિવાદ ઉઠ્યો છે.
અંજલી ફલાય ઓવરબ્રિજ પણ નામ વગરનો
રાણીપ, જીએસટી ફાટક રેલવે બ્રિજ પણ નામ વગરનો
ગુજરાત કોલેજ ફલાય ઓવરબ્રિજના નામકરણનો વિવાદ ઊઠ્યો હતો
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ગત તા.૩ જુલાઇ, ર૦૧૯એ ઇન્કમટેક્સ ચાર રસ્તા પર ૮૦પ મીટર લંબાઇના અને રૂ.પ૭.પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. ગાંધીજીની પ્રતિમાનું અન્યત્ર સ્થળાંતર કરાશે કે કેમ તે વિષય તે સમયગાળામાં ભારે વિવાદાસ્પદ બન્યો હતો, પરંતુ ગાંધીજીની થીમ આધારિત બ્રિજ બનાવનાર તંત્ર ચોમાસા દરમ્યાન નિર્માણ વખતે બ્રિજ પરના લીકેજથી ગાંધીજીની પ્રતિમા પર પાણીના ધધૂડા વહેતાં ફરીથી વિવાદમાં થયો હતો. આ ઉપરાંત એપ્રોચ રોડ પર પડેલાં ગાબડાંથી પણ બ્રિજની ગુણવત્તા સામે અનેક સવાલ થયા હતા.
અંજલી ફલાય ઓવરબ્રિજ નામ વગરનો છે
ઇન્કમટેક્સ ફલાય ઓવરબ્રિજ બાદ સત્તાવાળાઓએ શહેરના સૌથી લાંબા અંજલી ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આશરે રૂ.૯૯ કરોડના ખર્ચે બનેેલો આ બ્રિજ લગભગ બે કિલોમીટર લાંબો છે અને ફતેહનગર તથા પંચરત્ન સર્કલને આવરી લેતો હોઇ તેનું ગત ર૬ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. શહેરના આ બે મહત્ત્વપૂર્ણ ફલાય ઓવરબ્રિજના લોકાર્પણને લગભગ એકથી પાંચ મહિના જેટલો સમય થવા છતાં પણ તેમને કોઇ નામ અપાયું નથી.
રાણીપ, જીએસટી ફાટક રેલવે બ્રિજ પણ નામ વગરનો
સત્તાધીશોએ રાણીપ, જીએસટી ફાટક, રેલવે ઓવરબ્રિજ, હાટકેશ્વર ફલાય ઓવરબ્રિજ અને બાપુનગર દિનેશ ચેમ્બર્સના ફલાય ઓવરબ્રિજને પણ હજુ કોઇ નામ આપ્યું નથી. રાણીપ જીએસટી ફાટક બ્રિજનો મહિનાઓના વિલંબ બાદ છેવટે ગત તા. ૧પ જૂન, ર૦૧૮એ લોકોપયોગી થયો હતો.
આમ, શહેરીજનો પાંચ બ્રિજના નામકરણથી વંચિત છે. બીજી તરફ મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્માએ ગઇ કાલે મળેલા મ્યુનિ. બોર્ડમાં ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજનું નામ શહીદ વીર ચંદ્રશેખર આઝાદ ફલાય ઓવરબ્રિજ અને અંજિલ ફલાય ઓવરબ્રિજનું નામ છત્રપતિ શિવાજી મહારાજ ફલાય ઓવરબ્રિજ આપવાની દરખાસ્ત મૂકી હતી, જોકે આ બંને દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે ટાઉન પ્લાનિંગ કમિટીમાં પરત મોકલીને એક પ્રકારે ફગાવી દીધી છે.
ગુજરાત કોલેજ ફલાય ઓવરબ્રિજના નામકરણનો વિવાદ ઊઠ્યો હતો
જાણકાર સૂત્રો કહે છે, અગાઉ ગુજરાત કોલેજ ફલાય ઓવરબ્રિજના નામકરણનો વિવાદ ઊઠ્યો હતો, જોકે આ બ્રિજનું નામ મહાકવિ ન્હાનાલાલ અપાતાં વિવાદ પર ઠંડું પાણી રેડાયું હતું. આ ઉપરાંત નદી પરના વાડજથી દૂધેશ્વરને જોડતા રિવરબ્રિજના નામનો પણ વિવાદ થયો હતો. આ રિવરબ્રિજનું નામ ભારે વિવાદ વચ્ચે શાસકોએ ઋષિ દધીિચના નામ પરથી દધીિચબ્રિજ આપ્યું હતું. હવે ફરી લોકાર્પણ થયેલા નવા બ્રિજના નામને લઇ વિવાદ સર્જાયો છે.
અમૂલ ભટ્ટે એક મહિનામાં નામ આપી દેવાની કરી વાત
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજ અને અંજલિ ફલાય ઓવરબ્રિજના નામ હું એક મહિનામાં આપી દઇશ. જ્યારે અન્ય બ્રિજના મામલે નિર્ણય લેતાં વાર લાગશે.