પોરબંદરમાં ભારે પવનની અગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આગામી 5 દિન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતા
આગામી એક જૂન સુધી દરિયો ન ખેડવા અપાઇ સૂચના
હવામાન વિભાગ દ્વારા કચ્છ- સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં દરિયામાં તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ સેવાઇ રહી છે જેને પગલે પોરબંદર પંથકના સાગરખેડુ-માછીમારોને દરિયો ન ખેડવા અંગે સબંધિત વિભાગ દ્વારા સૂચન જારી કરાયુ છે. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહીને લઇને દ્વારકા-પોરબંદરના દરિયામાં મહદઅંશે કરંટ પણ જોવા મળી રહ્યો છે.
આગામી 5 દિવસ સુધી ભારે પવન ફૂંકાશે
કેરળમાં ચાલુ સાલ ચોમાસુ વહેલું બેસી ગયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ચોમાસાના આગમનના એંધાણરૂપ પવનો અને ભેજયુક્ત હવા સહિતની અસરો સૌરાષ્ટ્રમાં પણ દેખાવા લાગી છે અને તેજ પવન ત્રાટકવા લાગ્યા છે. આથી આકરા તપમાંથી રાહત પણ મળી છે પરતું બફારામાં વધારો થયો છે. તો પોરબંદરનો દરિયો રફ બન્યાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ વિભાગની આગાહી મુજબ આગામી 5 દિન સુધી ભારે પવન ફૂંકાશે. 40 થી 60 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે. આથી પોરબંદરના માછીમારોની સલામતીને ધ્યાને લઈને આગામી તા. 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા આપવાામાં આવી સૂચના
હવાનાં દબાણવાળા પટ્ટાને લઈને પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા દરિયો નહીં ખેડવા સાવધ કરવા સૂચના જારી કરાઇ છે. ત્યારબાદ માછી મારી અર્થે ગયેલી બોટોને પરત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી માછીમાર એસોસિએશન સાથે સંપર્ક સાથી કરાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.