અમરેલી: પીપાવાવ પોર્ટ નજીક આવેલ શિયાળ બેટનાં લોકો માટે ખુશીની પળ... હાં કારણ કે શિયાળ બેટ પર નર્મદાનું પાણી પહોંચ્યું છે. દરિયાનું ખારૂ પાણી પીતા શિયાળ બેટનાં લોકો માટે પહેલી વખત મીઠું પાણી પાઇપ લાઇન મારફતે પહોંચાડવામાં આવ્યું છે. ચાંચ ગામથી દરિયામાં 6 કી.મી. અન્ડરગ્રાઉન્ડ પાણીની લાઇન નાખવામાં આવી છે. 8 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ પાણીની લાઇન તૈયાર કરાઇ છે. 6 કિ.મી દરિયામાં લાઈન મારફત પહોંચ્યું મીઠું પાણી મળતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.
પ્રથમ વખત મળ્યું અનાજ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેટ પર ગુજરાત સરકારનું સસ્તું અનાજ મળતું ન હતું. જોકે ગામની રજૂઆત બાદ ગુજરાત સરકાર દરિયા માર્ગે અન્ન અને નાગરિક પૂરવઠા નિગમે જથ્થો પૂરો પાડવા માટે મંજૂરી આપી હતી. ત્યાર બાદ અહીં અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવે છે.
67 વર્ષ બાદ મળી વિજળી
મહત્વનું છે કે, તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શિયાળ બેટ ખાતે આઝાદીના 67 વર્ષ બાદ વિજળી પહોંચાડી હતી. હાલના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એ સમયે જાહેરાત કરી હતી કે શિયાળ બેટના લોકોને વિજળી પહોંચાડવામાં આવી. આ માટે લગભગ ૧૮ કરોડના ખર્ચે પીપાવાવ બંદરથી દૂર શિયાળબેટ સુધી દરિયામાંથી કુલ ચાર મરીન કેબલ નાખવામાં આવ્યાં હતાં.