સૂર્ય મંદિર માટે વિશ્વ વિખ્યાત ગુજરાતનું મોઢેરા હવે દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બની જશે. જ્યાં લોકોના બીલ કાયમીમાટે ઝીરો આવશે.
મોઢેરા સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે જાહેર થશે
સંપૂર્ણ ગામ 24 કલાક સૌર ઉર્જાથી ચાલશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે કરશે મુલાકાત
સૂર્ય મંદિર માટે વિશ્વ વિખ્યાત ગુજરાતનું મોઢેરા હવે દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન 9 ઓક્ટોબરે મોઢેરાને સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે જાહેર કરશે. આ ગામમાં આવેલા મોઢેરા સૂર્ય મંદિર સહિત ગામના તમામ ઘરોમાં સૂર્યની ઉર્જાથી તમામ કામ થશે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે તે ગામડાના તમામ કામકાજ સૂર્ય ઉર્જા દ્વારા સંચાલિત હશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે બે તબક્કામાં આ સોલાર વિલેજ બનાવ્યું છે.
જાણો સંપૂર્ણ પ્રોજેક્ટ વિશે
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે 'મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન' શરૂ કર્યું. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50-50 ટકાના ધોરણે રૂ. 80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે. એટલે કે પ્રથમ તબક્કામાં (ફેઝ-1) રૂ. 69 કરોડ અને બીજા તબક્કામાં (ફેઝ-2) રૂ. 11.66 કરોડ ખર્ચવામાં આવ્યા. 1 KWની 1300થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. જ્યારે સાંજના BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
જાણો પ્રોજેક્ટની વિશેષતાઓ
આ પ્રોજેક્ટ દ્વારા મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ બનશે કે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરશે. વધુમાં, સૌર ઊર્જા આધારિત અલ્ટ્રા-મોર્ડન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ધરાવતું તે પ્રથમ આધુનિક ગામ છે. ભારતની પ્રથમ ગ્રીડ કનેક્ટેડ MWH સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. લોકોને વીજળીના બિલમાં 60%થી 100% સુધીની બચત થશે.
સૂર્યમંદિરનું સોલરાઇઝેશન
સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-D પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 3:18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે પણ 6:00થી 10:00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-D પ્રોજેક્શન દરરોજ સાંજના 7:00થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.
સૌના બીલ ઝીરો થઇ ગયા: સરપંચ
મોઢેરા સરપંચ જતનબેન ડી ઠાકોરે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, "સૌર ઊર્જાના ઉપયોગથી નાગરિકોમાં સમૃદ્ધિ વધી છે. પહેલા બિલ રૂ. 1 હજારથી વધારે આવતું હતું અને હવે ઝીરો થઇ ગયું છે. બધા ઘરની ઉપર કોઈપણ જાતના ખર્ચા વિના સોલાર પેનલ લગાવવામાં આવી છે. અમારી વીજળી જમા થાય તો અમને વધારાના પૈસા પણ આપવામાં આવે છે."