૧૭મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં ભાજપના સાંસદ વીરેન્દ્રકુમારે આજે સવારે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ લેવડાવ્યા હતા.
વીરેન્દ્રકુમારે વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત નવા ચૂંટાયેલા સભ્યોને સાંસદ તરીકે શપથ લેવડાવાવ્યાં હતા. બે દિવસમાં તમામ પ૪ર સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. આજરોજ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાની, ડો. જીતેન્દ્રસિંહ સહિત સાંસદોએ સાંસદ તરીકે શપથ લીધા.
સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી બાદ આજે લોકસભાની રચના સાથે પ્રથમ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વિરોધ પક્ષો તેમના સંખ્યાબળની ચિંતા કર્યા વગર લોકોના પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવે. તેમણે જણાવ્યું હતું કે તર્ક સાથે સરકારની આલોચના કરવાથી લોકતંત્રને તાકાત મળે છે. વિપક્ષો માટે અમારી લાગણી મૂલ્યવાન છે. સંસદમાં આપણે શાસક પક્ષ-વિપક્ષ જેવી બાબતોને છોડી નિષ્પક્ષ કામ કરીએ.
ર૬ જુલાઈ સુધી ચાલનારા આ સત્રમાં પહેલા બે દિવસ ૧૭ અને ૧૮ જૂને લોકસભાના નવા ચૂંટાયેલા સાંસદને શપથ લેવડાવવામાં આવશે. આ માટે પ્રોટેમ સ્પીકરના રૂપમાં ડો.વીરેન્દ્રકુમારને પસંદ કરવામાં આવ્યા છે. ૧૯મી જૂને લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થશે. ર૦મીએ રાષ્ટ્રપતિ સંસદનાં બંને સદનને સંબોધિત કરશે. આગામી પાંચ જુલાઈએ સરકાર તેનું પૂર્ણ બજેટ રજૂ કરશે.
આજથી મોદી સરકારની સંસદીય પરીક્ષાનો પણ પ્રારંભ થશે. ર૦ જૂનથી જ રાજ્યસભાના સત્રની પણ શરૂઆત થવાની છે. આ સત્રમાં ટ્રિપલ તલાક સહિતના કેટલાંક અગત્યનાં બિલ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગત સરકારના કાર્યકાળમાં લાગુ પાડવામાં આવેલા ૧૦ વટહુકમને રદ્દ કરીને તેમના સ્થાને વિધેયક પસાર કરાવવું પડશે. આ સાથે ગત લોકસભાની સાથે રદ થઈ ગયેલાં ૪૬ વિધેયકને પણ જરૂરી ફેરફાર સાથે પસાર કરવામાં આવશે, જોકે આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ જ સરકારની સ્થિતિ સ્પષ્ટ થશે.
પહેલી વખત કોઈ મહિલા નાણાપ્રધાન (નિર્મલા સીતારમન) બજેટ રજૂ કરશે. સંસદનું સત્ર ૩૯ દિવસ સુધી ચાલશે, જેમાં ૩૦ બેઠક નિર્ધારિત કરવામાં આવી છે. આ સત્રમાં ટ્રિપલ તલાક ઉપરાંત જમ્મુ-કાશ્મીર આરક્ષણ વિધેયક પણ લાવવામાં આવશે.
૪ જુલાઈના રોજ નાણાં મંત્રાલયનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. આ સત્રમાં જે અગત્યનાં બિલ રજૂ થવાનાં છે તેમાં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન વિધેયક-ર૦૧૯, આધાર અને અન્ય કાયદા (સંશોધન) વિધેયક, મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) અથવા ટ્રિપલ તલાક વિધેયક, જમ્મુ-કાશ્મીર અનામત વિધેયક, આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી કેન્દ્ર વિધેયકનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદ વચ્ચે ટીમ ભાવના જળવાઈ રહે તે માટે ર૦ જૂને એક બેઠક બોલાવી છે. હજુ સુધી લોકસભામાં કોંગ્રેસના નેતાનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. ૧૬મી લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરનારા વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે આ વખતે ચૂંટણી હારી ગયા છે.