દેશની તિજોરી પર સૌથી પહેલો હક લઘુમતિનો આ અંગેના કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનને લઈને રાજકીય ઘમાસાણ સર્જાયું છે.
દેશની તિજોરી પર સૌથી પહેલો હક લઘુમતિનો : જગદીશ ઠાકોર
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનને લઇને ભાજપની પ્રતિક્રિયા
લોકોને એકબીજા સાથે લડાવવાનો પ્રયાસ થયો તે નિંદનીય: વ્યાસ
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને રાજકીય ગતિ વિધિઓ તેજ બની છે ત્યારે ચૂંટણી અગાઉ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, દેશની તિજોરી પર સૌથી પહેલો હક લઘુમતિનો છે. કોંગ્રેસના આ નિવેદનને લઇને વિવાદ જાગ્યો છે. આ મામલે કોંગ્રેસ તેની વિચારધારા પર અડગ જ રહેશે તેમ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે આ નિવેદનથી દેશને ખુબ જ નુકસાન થશે તે પણ જાણું છું અને નુકસાનનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ વિચારધારા નહીં છોડે તેમ પણ જગદીશ ઠાકોરે અંતમાં ઉમેર્યું હતું. પૂર્વ PM મનમોહનસિંહે ડંકાની ચોટ પર નિવેદન કર્યું હતું. નિવેદનથી કોંગ્રેસને નુકસાન થશે અને અગાઉ પણ થયું છે.જગદીશ ઠાકોરના આ નિવેદનને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
છેલ્લા 2 દાયકાથી ગુજરાત સંપૂર્ણ તણાવમુક્ત છે: યમલ વ્યાસ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનને લઇને ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસએ નિવેદન આપતા કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન ભાગલા પાડનારૂ અને તૃષ્ટીકરણના રાજકારણને લઈને હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. સમાજમાં ભાગલા પડાવનારું, વોટબેંકની રાજનીતિને લઈને જગદીશઠાકોરે આ નિવેદન આપ્યુંછે. સાથે જ યમલ વ્યાસએ નિવેદન આપતા કહ્યું કે સ્વતંત્રતાથી માંડીને અત્યાર સુધી કોંગ્રેસે માત્ર લોકોમાં વિભાજન કરવાનું કામ જ કર્યું છે. કોંગ્રેસે ક્યારેય લોકોના હિતમાં કામ કર્યું છે. છેલ્લા 2 દાયકાથી ગુજરાત સંપૂર્ણ તણાવમુક્ત થયું છે. PM મોદી 130 કરોડ નાગરિકોને એક ભારતીય તરીકેનો ગૌરવ આપે છે. તેવામાં લોકોને વિભાજન કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તે અત્યંત નીંદનિય છે તેમ અંતમાં ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યુ હતું.
દર વખતે લઘુમતી સમાજને 100 ટકા મતદાન કરવાનું કહેવામાં આવે છેઃ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
અમદાવાદમાં કોંગ્રેસનું સદભાવના સંમેલનમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસના નેતાઓ પર ચાબખા માર્યા હતા. શેખે કહ્યું હતું કે, દર વખતે લઘુમતી સમાજને 100 ટકા મતદાન કરવાનું કહેવામાં આવે છે. શું બધી બેઠકો જીતાડવાનો અમે જ ઠેકો લીધો છે. તમે જે સમાજમાંથી આવો છો તે લોકો તમને મત આપે છે? તમારા સમાજના લોકો જ તમને મત નથી આપતા. જ્યારે આપવાની વાત આવે ત્યારે અમારે જ આપવાનું? ધારાસભ્યો ગ્રાન્ટ નથી વાપરતા, તેમણે ગ્રાન્ટ વાપરવી પડશે. કોંગ્રેસના 3 મુસ્લિમ ધારાસભ્યોને AAP તરફથી આમંત્રણ મળ્યાનો દાવો ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો છે.