ભોળાનાથની નગરી વારાણસીમાં પણ હવે લોકો ક્રૂઝની મુસાફરીનો આનંદ માણી શકશે. લક્ઝરી ક્રૂઝ અલકનંદા બુધવારે કલકત્તાથી વારાણસી પહોંચી ચૂક્યું છે.
આ ક્રૂઝ શિપ કલકત્તાથી 1400 કિલોમીટરની સફર ખેડીને વારાણસી પહોંચ્યું છે. સહેલાણીઓ 15 ઓગસ્ટથી આ ક્રૂઝમાં સફર કરવાનો આનંદ લઈ શકશે.
આ લક્ઝરી ક્રૂઝમાં તમામ પ્રકારની વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે. વારાણસીના લોકો આ ક્રૂઝને લઇને ખૂબ જ ઉત્સાહમાં છે. 'અલકનંદા કાશી' નામના આ ક્રૂઝનું સંચાલન ક્રૂઝલાઇન નામની પ્રાઇવેટ કંપની કરે છે. આ ક્રૂઝનું નિર્માણ કલકત્તામાં થયું છે.
આ ક્રૂઝ દ્વારા વારાણસીના ઘાટની સફર કરાવાશે. ક્રૂઝમાં 60 લોકોના બેસવાની વ્યવસ્થા છે. ક્રૂઝમાં 2000 સ્ક્વેર ફૂટની જગ્યા છે. બે માળની આ ક્રૂઝમાં નીચેનો ડેક સંપૂર્ણ રીતે એર-કન્ડિશન્ડ છે. આ લક્ઝરી ક્રૂઝનો ઉપયોગ સેમિનાર્સ અને પાર્ટી કરવા માટે પણ ઉપયોગ થશે. ખાસ વાત એ છે કે આ ક્રૂઝમાં ઓનલાઈન બુકિંગ દ્વારા 11 પંડિતો સાથે શ્રદ્ધાળુઓને રુદ્રાભિષેક કરવાની તક પણ મળશે.આ ક્રૂઝમાં સહેલાણીઓની બનારસની સવાર અને ગંગા આરતી બતાવવામાં આવશે.
આ ક્રૂઝ દિવસમાં 2 વખત ચાલશે. એક સૂર્યોદયના સમયે અને બીજું ગંગા આરતીના સમયે. આ ક્રૂઝ ટૂરિસ્ટેને અસ્સી ઘાટથી રાજઘાટ સુધીની સફર કરાવશે. 2 કલાકની ક્રૂઝ રાઈડ માટે દરેક વ્યક્તિએ 750 રૂપિયા ચૂકવવા પડશે. સાથે GST આપવો પડશે.
વારાણસીના આધ્યાત્મિક અને ધાર્મિક સ્વરૂપથી વિપરીત કોઈપણ ફૂડ આઈટમ શિપ પર લઈ જવાની મંજૂરી નથી. ક્રૂઝની દિવાલ પર ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ ચલાવી શકાય તેવી વ્યવસ્થા હશે. ક્રૂઝમાં કોર્પોરેટ ઈવેન્ટ પણ યોજી શકાશે. આ સિવાય ક્રૂઝમાં બાયો-ટોઈલેટની સુવિધા છે. સાથે જ પેન્ટ્રી પણ હશે જેથી ટુરિસ્ટને ભોજન પીરસી શકાય. ક્રૂઝ ચલાવતી કંપનીએ PMના સ્ટાર્ટ-અપ ઈંડિયાને ક્રેડિટ આપી છે. ઓપરેટિંગ કંપની ઈચ્છે છે કે PM મોદી આ ક્રૂઝને લીલી ઝંડી બતાવે.