ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. હવે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને જાહેરાતની જબરદસ્ત મેરેથોન બેઠકો ચાલી રહી છે. એવામાં હવે BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.
BTPનું ઉમદવારોના નામનું પ્રથમ લિસ્ટ જાહેર
BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા
નાંદોદ બેઠક પરથી ચૂંટણી લડશે મહેશ વસાવા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી દ્વારા ગતરોજ ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી દીધી છે. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વચ્ચે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી પણ આગામી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ....
BTPએ જાહેર કર્યા 12 ઉમેદવાર
BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નાંદોદ બેઠક પર મહેશ શરદ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે.
આ બન્ને સીટ BTPએ ઉમેદવારોને નથી કર્યા જાહેર
સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરશે નહીં. જ્યારે મહેશ છોટુ વસાવા ઝઘડીયા બેઠક પરથી ઉમેદવારી કરી શકે છે. તો ડેડીયાપાડાથી પાર્ટી બહાદુર વસાવાને ટિકિટ આપી શકે છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીએ હજુ સુધી આ બંન્ને સીટ પર ઉમેદવારોને જાહેર કર્યા નથી.
ટૂંક સમયમાં જ તૂટી ગયું હતું AAP અને BTP વચ્ચે ગઠબંધન
ઉલ્લેખનીય છે કે, તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.' જે બાદ AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું હતું. આ અંગે છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.' છોટુ વસાવાએ આપના નેતાઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આપના નેતાઓ બીટીપીનું કહેલું માનતા નહોતા. ટોપીવાળા આપના લોકો ક્યાંય જોવા મળતા નહોતા.
2017માં બીટીપીને મળી હતી 2 સીટો
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 182 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ને 77 સીટો મળી હતી. તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના 2 ઉમેદવાર, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 1 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુભાઈ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.